રાજીનામાની હારમાળા વચ્ચે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકશે રાહુલ ગાંધી, ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી

આ યાત્રા ગુજરાત સાત જિલ્લામાંથી પસાર થશે અને ચાર દિવસમાં 400 કિલોમીટરનો પ્રવાસ કરશે

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
રાજીનામાની હારમાળા વચ્ચે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકશે રાહુલ ગાંધી, ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી 1 - image
Image : IANS

Rahul Gandhi : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ એક્ટીવ થઈ ગઈ છે ત્યારે ભારત જોડો ન્યાય યાત્રા કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પણ  ગુજરાતમાં આગમન થઈ ગયું છે. લોકસભાની ચૂંટણી માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચારનું રણશિંગું ફૂંકશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશી છે. 

લોકસભાની ગત બે ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી

રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે. તેમની ભારત જોડો યાત્રા હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ગઈ છે ત્યારે તેમની પાસે લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાની લગભગ આ છેલ્લી તક છે. આ સાથે જ તેમની સામે ગત બે લોકસભા ચૂંટણીઓ 2014 અને 2019માં ગુજરાતમાં 26-0થી હારના પરિણામોની કડવી યાદોને ભૂલાવીને આગળ વધવા માટે પણ આ એક અવસર છે. પાર્ટીના એક પછી એક ધારાસભ્યોના રાજીનામા અને તેમના ભાજપમાં જોડાઈ જવાની ઘટનાઓથી કોંગ્રેસને ભારે આંચકા લાગ્યા છે ત્યારે આ સૌની વચ્ચે રાહુલ ગાંધી તેમની ભારત જોડો ન્યાય યાત્રા સાથે સમગ્ર ગુજરાતને આવરી લઈને ફરી કોંગ્રેસને જીવંત બનાવવાના પ્રયાસ કરી શકે છે.

ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા 400 કિલોમીટરનો પ્રવાસ કરશે

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત સાત જિલ્લામાંથી પસાર થશે અને ચાર દિવસમાં 400 કિલોમીટરનો પ્રવાસ કરશે. ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતમાં પ્રવેશી ગઈ છે. રાહુલ ગાંધી આજે ઝાલોદ ખાતે એક જાહેરસભાને સંબોધન કરશે. આ પછી ન્યાય યાત્રા ઝાલોદથી નીકળીને લીંમડી ખાતે પહોંચશે. પોતાની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અનેક સ્થળોની મુલાકાત કરશે, જેમાં કંબોઈ ધામ, પાવાગઢ મંદિર, હરસિદ્ધિ માતાજી મંદિર , સ્વરાજ આશ્રમ બારડોલીનો સમાવેશ થાય છે.

રાહુલ ગાંધી આદિવાસી લોકોને  કોંગ્રેસ તરફ આર્કષવાનો પ્રયાસ કરશે

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી પોતાની ન્યાય યાત્રા દરમિયાન 6 જાહેર સભાઓ અને 27 બેઠક કરશે. એક તરફ ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રા પહેલા આદિવાસી બેલ્ટના કોંગ્રેસના નેતાએ પાર્ટીથી નારાજ થઈને રાજીનામા આપ્યા છે ત્યારે આ વિસ્તારમાં આદિવાસી લોકોને કોંગ્રેસ તરફ આર્કષવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ રાજીનામાં આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી માટે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રયાર લિટમસ ટેસ્ટ સાબિત થશે. 

રાજીનામાની હારમાળા વચ્ચે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકશે રાહુલ ગાંધી, ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી 2 - image


Google NewsGoogle News