વડોદરા: લારી ગલ્લાનું દબાણ એ લેન્ડ ગ્રેબિંગના ગુના સમાન છે - મહેસૂલ મંત્રી

Updated: Nov 12th, 2021


Google NewsGoogle News
વડોદરા: લારી ગલ્લાનું દબાણ એ લેન્ડ ગ્રેબિંગના ગુના સમાન છે - મહેસૂલ મંત્રી 1 - image


વડોદરા, તા. 12 નવેમ્બર 2021 શુક્રવાર

વડોદરા શહેરમાં જાહેર માર્ગો ઉપર આડેધડ ઉભી રહેતી લારીઓનું દબાણ એ એક જાતનું લેન્ડ ગ્રેબીગ છે અને દુકાનના લટકણીયા વાહન ચાલકો તથા રાહદારીઓ માટે આફત સમાન હોય તે વડોદરા કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે દૂર કરવું જોઈએ.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એ જણાવ્યું હતું કે, રાજ્યમાં રસ્તા પર ઈંડા અને નોન-વેજની લારીઓનું દબાણ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. આ એક લાંબા ગાળાનો પ્રશ્ન છે. ફૂટપાથ પર કે રસ્તામાં ગમે ત્યાં ઊભા રહીને ધંધો કરે એ ન ચાલે. દુકાન લઈને ધંધો કરે.

મહેસૂલ મંત્રીએ વડોદરા અને રાજકોટમાં જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓને જાહેરમાં વેચાણ નહિ કરવા માટે મ્યુનિસિપાલિટીના પગલાની પ્રસંશા કરી હતી અને એના માટે સખત પગલાની હિમાયત પણ કરી હતી. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રસ્તામાં ઊભી રહેલી લારીઓ મામલે પોતાના નિવેદન પર અડગ છે. આજે વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન પણ તેમણે કહ્યું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી. રોડ પર લારીનું દબાણએ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. નોનવેજ અને વેજ તમામ લારીઓના દબાણ હટાવવા જ જોઈએ. નોનવેજ અને વેજની લારીના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે. તેને હટાવવી જ જોઈએ.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે દુકાનો વાળા પૂતળા મૂકીને રસ્તા પર પણ દબાણ કરતા હોય છે અને લટકણીયા લટકાવીને પણ દબાણ થતું હોય છે જેને કારણે લોકોને તકલીફ પડે છે તે અંગે કોર્પોરેશન અને વિડિયો અને ફોટોગ્રાફી કરી આવા વેપારીઓ સામે પેનલ્ટી કરવી જોઈએ.


Google NewsGoogle News