નડિયાદના કમળા ખાતે ગૌચરની જમીનમાં ભૂમાફિયાઓનું ખનન
- ધારાસભ્યના વિસ્તારમાં ગૌચર જમીનમાં બેફામ ખોદકામ
- 20 ફૂટ ઊંડુ ખોદકામ કર્યું હોવાની ખાણ-ખનીજ વિભાગમાં લેખિત ફરિયાદ
નડિયાદમાં રહેતા નિલેશભાઈ પટેલની કમળા ખાતે સર્વે નં.૨૮૮ અને ૨૯૨-૨માં કુલ ૨-૮૯-૩૬ જેટલી જમીન આવેલી છે. જેની આસપાસ ગૌચર જમીન આવેલી છે. ગૌચરની ૨૦થી ૩૦ ફૂટ જમીનમાં કેટલાક ભૂમાફિયાઓ દ્વારા ૨૦ ફૂટ ઊંડુ ખોદકામ કરી માટી કાઢી લીધી હોવા અંગે નિલેશભાઈએ ખાણ-ખનીજ વિભાગમાં લેખિત ફરિયાદ આપી હતી. તેમજ સત્વરે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડા કમળામાં રહે છે. ધારાસભ્યના વિસ્તારમાં ગૌચર જમીનમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે છતાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાના આક્ષેપ લાગ્યા છે. તેમજ જિલ્લાના અનેક સ્થળોએ બેફામ ખનન પ્રવૃત્તિ ચાલતી હોવાની ફરિયાદો ઉઠી છે. આ અંગે ઉચ્ચકક્ષાએથી સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.