જોડીયાના અપહરણના ગુન્હાનો આરોપી પેરોલ જમ્પ કરીને પાંચ વર્ષથી ફરાર રહ્યા બાદ એલસીબીના હાથે પકડાયો
Jamnagar Crime : જામનગર જિલ્લાના જોડીયા પોલીસ મથકના અપહરણના એક ગુનામાં રાજકોટમાં જેલવાસ ભોગવતો પાકા કામનો કેદી છેલ્લા પાંચ વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર રહ્યા પછી એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને રાજકોટની જેલમાં મોકલી આપ્યો છે.
મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરનો વતની નવલ ઉર્ફે રૂમાલ પારસીભાઈ લખમીયા કે જે 2017 ની સાલમાં ધ્રોલ તાલુકાના વાગુદડ ગામ પાસે રહેતો હતો, અને જોડિયા પોલીસ સ્ટેશનના 2017ની સાલના અપહરણના કેસમાં પકડાયા બાદ તેને રાજકોટની મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો.
ત્યારબાદ તેને પેરોલ મળ્યા હતા, અને પોતે છેલ્લા પાંચ વર્ષથી નાસ્તો ફરતો રહ્યો હતો. ઉપરોક્ત આરોપી ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામ પાસે આવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબીની ટુકડીએ વોચ ગોઠવી નવલભાઇ ઉર્ફે રૂમાલ પારસીભાઈ લખમિયાને ઝડપી લઈ રાજકોટ જેલ હવાલે કરી દેવાયો છે.