આણંદ મહાનગરપાલિકામાં સમાવેશના વિરોધમાં આજે કરમસદ બંધનું એલાન
- વિરોધ પ્રદર્શન અને આંદોલનને રાજ્ય વ્યાપી બનાવાશે
- સરદાર પટેલનું અસ્તિત્વ ટકાવી રાખવા ગામેરું યોજાયું આગામી દિવસોમાં સહી ઝૂંબેશ ચલાવવા નિર્ણય
આણંદ : આણંદ મહાનગરપાલિકામાં કરમસદને સમાવવાના વિરોધ માટે આજે કરમસદના ગ્રામજનોએ ગામેરું યોજ્યું હતું. જેમાં તમામ પક્ષ અને જ્ઞાાતિના લોકોએ ભેગા મળી સરકાર પુનઃ વિચારણા કરી કરમસદ મહાનગરપાલિકા અથવા તાલુકાનો દરજ્જો આપવા માંગણી કરી હતી. સોમવારે કરમસદ બંધનું એલાન પણ જાહેર કરાયું છે. આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો થકી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય પણ લેવાયો છે.
કરમસદમાં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ - ગુજરાત દ્વારા રવિવારે સવારે ૧૦ કલાકે સરદાર વલ્લભભાઈ પટેલના ગામ કરમસદને બચાવવા માટે ગ્રામજનોએ પક્ષ અને નાત- જાતનો ભેદ મીટાવી કરમસદની સ્વતંત્ર્યતા માટે એક સૂત્રમાં જોડાઈ ગામેરું યોજી આંદોલનનો આરંભ કર્યો હતો.
આણંદ મ્યુનિ.કોર્પો. જાહેર થતા કરમસદમાં સરદાર પટેલના અસ્તિત્વનો નાશ પામશે તેવી સંભાવનાઓને આધારે આજે યોજાયેલા ગામેરું કાર્યક્રમમાં માંગણી કરાઈ હતી કે, સરકાર નિર્ણય અંગે પુનઃ વિચારણા કરે અને સરદાર પટેલના ગામ કરમસદને સ્વતંત્ર્ય કરે. આગામી દિવસોમાં સહી અભિયાનની ઝૂંબેશ ચલાવાશે તેમજ અન્ય કાર્યક્રમો આપી વિરોધ પ્રદર્શન અને આંદોલનને રાજ્ય વ્યાપી વિસ્તરણ કરવાનો કાર્યક્રમમાં નિર્ણય લેવાયો હતો. સરદાર પટેલના વતન કરમસદનો આણંદ મહાનગર પાલિકામાં બળજબરી પૂર્વક સમાવેશના અન્યાય સામે તા. ૬ઠ્ઠીને સોમવારે કરમસદ ગામ બંધનું એલાન જાહેર કરી તમામ વેપારીઓ સહિત ફેરિયાઓએ સફળ બનાવવા આહવાન કરાયું હતું.
બંધને જીટોડિયાના પૂર્વ સરપંચનું સમર્થન
આણંદ મ્યુનિ.કોર્પો.માં કરમસદને સમાવેશના પગલે સોમવારે કરમસદ બંધને જીટોડિયાના પૂર્વ સરપંચે પણ સમર્થન આપ્યું હતું. જેથી હવે રાજકીય ગરમાવો વધી ગયો છે. સોમવારે કરમસદની સ્કૂલો કોલેજો સહિત તમામ બજારો સ્વૈચ્છિક રીતે બંધના એલાનમાં જોડાય તેવી સંભાવનાઓ છે.