'મને સમાજમાંથી લવજેહાદ અંગે બોલવા કહેવાયું હતું, મારી ક્લિપ ક્રોપ કરીને વિવાદ ઉભો કરાયો', કાજલ હિન્દુસ્તાનીની સ્પષ્ટતા

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
'મને સમાજમાંથી લવજેહાદ અંગે બોલવા કહેવાયું હતું, મારી ક્લિપ ક્રોપ કરીને વિવાદ ઉભો કરાયો', કાજલ હિન્દુસ્તાનીની સ્પષ્ટતા 1 - image


Kajal Hindustani Controversy : કાજલ હિન્દુસ્તાની ફરી વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, ત્યારે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની યુવતીઓ અંગે વિવાદિત નિવેદન આપતા હોબાળો મચી ગયો છે. તેની સામે મોરબી સિટી-A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. પાટીદાર આગેવાન મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે હવે ફરિયાદ બાદ કાજલ હિન્દુસ્તાનીએ સ્પષ્ટતા કરી છે. 

કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે, 'મારી આખી સ્પીચ સાંભળી હશે તે વિરોધ નહીં કરે. આ ક્લિક ક્રોપ કરીને આ રીતે જોડવામાં આવી રહી છે. મારી ક્લિપને એડીટ કરીને રજૂ કરાઈ છે અને આ નિવેદન એક વર્ષ પહેલાનું છે, મને સમાજમાંથી લવજેહાદ અંગે બોલવા કહેવાયું હતું. 50 ઘટનાક્રમ દરેક સમાજના કહ્યા છે અને પછી આ મેં કહ્યું છે. મેં 50 મિનિટ સુધી સ્પીચ આપી છે, તેમાંથી માત્ર 5 સેકન્ડની ક્લિપ વાયરલ કરીને ઈશ્યુ ઉભો કરે છે. પાટીદાર સમાજમાં કોઈ આક્રોશ ઉભો નથી થયો. પાટીદાર સમાજ બહુ સમજુ સમાજ છે. પાટીદાર સમાજ પ્રતિનિધિ નથી.'

ફરિયાદ કરનારા પર આડકતરી રીતે પ્રહાર કરતા કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે, 'આ એ પાટીદાર લોકો છે જેઓ કોંગ્રેસ અને આપના ઠેકેદાર બનીને બેઠા છે અને તેઓ રાજનીતિક મુદ્દો ચલાવી રહ્યા છે. મારો વિરોધ કરનારાને પૂછવું છે કે, શું તમે લવજેહાદને માનો છો કે નહીં? જો તમે લવજેહાદને નથી માનતા તો તમે વિરોધ ન કરો. જો તમે માનો છો તો મતલબ કે તમે કનવર્ટ થઈ ગયા છો, તમે પાટીદાર નથી. તમારામાં કેમ લવજેહાદીઓ સામે બોલવાની હિંમત નથી? પાટીદારો પર અનેક હુમલા થયા ત્યારે આ પાટીદારો કેમ ચૂપ થઈ ગયા હતા? કોંગ્રેસની વોટબેંક જ જેહાદીઓ છે એટલે આ કાવતરું કર્યું છે. ચૂંટણી સમયે આ લોકો વિરોધ કરી રહ્યા છે, આ નિવેદન એક વર્ષ જૂનું છે. જાતિવાદી ઠગોને પટેલ સાથે લેવાદેવા નથી. આ લોકોના કહેવાથી અમને કંઈ ફેર નથી પડતો. તેમને લોકો જડબાતોડ જવાબ આપશે.'

કાજલ હિન્દુસ્તાનીના પ્રોગ્રામ પર પ્રતિબંધ લગાવવાની અરજી કરીશું : મનોજ પનારા

મનોજ પનારાએ જણાવ્યું હતું કે, 'કાજલબેન સુધરી જાઓ પાટીદાર સમાજની માફી માંગો અન્યથા પાટીદાર જ્યાં વસે છે તે સ્થળોએ ફરિયાદ કરવામાં આવશે. કોઈપણ સમાજ વિરુદ્ધ બોલવું ના જોઈએ. આવનાર દિવસોમાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવશે. હાઈકોર્ટમાં તેમના પર બેન લગાવવા અને તેઓ કોઈ સ્ટેજ પ્રોગ્રામમાં બોલાવવા નહિ અને સ્ટેજ પરથી કઈ બોલે તો ફરિયાદ થાય તેવી રીટ દાખલ કરવામાં આવશે.'

કોઈપણ સમાજની દીકરી વિશે આવું નિવેદન વાજબી નથી : ધનજી પાટીદાર

કાજલ હિન્દુસ્તાની સામે મનોજ પનારા બાદ હવે ધનજી પાટીદાર પણ પોલીસ ફરિયાદ નોંધાવશે. ધનજી પાટીદારે કહ્યું કે, 'સમાજની દરેક સંસ્થાને સાથે રાખીને આંદોલન કરીશું. કોઈપણ સમાજની દીકરી વિશે આવું નિવેદન વ્યાજબી નથી.'

જાણો શુંછે સમગ્ર વિવાદ?

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કાજલ હિન્દુસ્તાનીના એક નિવેદનથી હોબાળો મચી ગયો છે. મોરબીની એક જાહેર સભામાં તેમણે કહ્યું હતું કે, 'મોરબીની એક જ કોલેજની સાત પટેલની દીકરીઓએ મુસ્લિમ બોયફ્રેન્ડ બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડની અદલાબદલી કરે છે. આ સાતેયે મુસ્લિમ છોકરાને 40 લાખ રૂપિયાની ફોર-વ્હીલર ગિફ્ટ આપી દીધી હતી. પિતા પૈસા કમાવવામાં વ્યસ્ત છે અને માતા રીલ્સ બનાવવામાં મસ્ત છે, ઘરમાં કરોડો રૂપિયા પડ્યા હોય તેમાંથી બે-પાંચ લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની? છોકરીઓની ઉંમર 16-17 વર્ષની જ છે, વિચારી લો આ સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યો છે?'. આ નિવેદન બાદ કેટલાક પાટીદાર આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ હાથ ધરાઈ છે.

કાજલ હિંદુસ્તાની કોણ છે?

કાલજ હિન્દુસ્તાનીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X'ના બાયોમાં ઉદ્યોગસાહસિક, સામાજિક કાર્યકર્તા, સંશોધન વિશ્લેષક, રાષ્ટ્રવાદી અને ગૌરવપૂર્ણ ભારતીય તરીકે વર્ણવે છે. 'X' પર 92,000 ફોલોઅર્સ છે. કાજલ હિન્દુસ્તાનીનું નામ કાજલ શિંગલા હતું અને તે પોતાને 'ગુજરાતની સિંહણ' કહે છે. તેણી કહે છે કે તે હંમેશા રાષ્ટ્રવાદી વિચારોને વળગી રહે છે અને તેથી જ તેણે કાજલ હિન્દુસ્તાનીના નામે 'X' પર એકાઉન્ટ પણ બનાવ્યું છે. કાજલ ટીવી ડિબેટ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેતી જોવા મળે છે. તે હંમેશા ભારતીય સંસ્કૃતિ અને ધર્મો વિશે જાગૃતિ ફેલાવવાની વાત કરતી જોવા મળે છે.


Google NewsGoogle News