જામનગરના રણજીત સાગર ડેમ છલકવાની તૈયારીમાં, ખોડીયાર મંદિર અડધું પાણીમાં ડૂબ્યું

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
જામનગરના રણજીત સાગર ડેમ છલકવાની તૈયારીમાં, ખોડીયાર મંદિર અડધું પાણીમાં ડૂબ્યું 1 - image


Heavy Rain Jamnagar : જામનગર જિલ્લાના ખાસ કરીને લાલપુર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે (શુક્રવારે) સાંજે સારો વરસાદ પડી ગયો હતો, અને નદી નાળામાં પુર આવ્યા હતા. જેમાં જામનગર શહેરને પાણી પૂરું પાડતા રણજીતસાગર ડેમમાં વ્યાપક પ્રમાણમાં આવક થઈ હતી.

ગઈકાલે એક જ દિવસમાં રણજીત સાગર ડેમમાં ચાર ફૂટથી વધુ નવું પાણી આવ્યું હતું. આસપાસના વિસ્તારની નદીનો ધસમસતો પ્રવાહ રણજીતસાગર ડેમમાં ઠલવાયો છે, જેના કારણે રણજીતસાગર ડેમ છલકાવાની તૈયારીમાં છે. જે જામનગરના શહેરીજનો માટે ખૂબ જ આનંદદાયક સમાચાર છે.

ધોધમાર વરસાદના કારણે ખોડીયાર મંદિર અડધું પાણીમાં ડૂબ્યું

જામનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ગઈકાલે સાંજે દરેડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદના કારણે દરેક નજીક આવેલી રંગમતી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. જેના કારણે દરેડ વિસ્તારમાં આવેલું ખોડીયાર મંદિર પાણીમાં ડૂબ્યું હતું. ગઈકાલે સાંજે પાણીના પ્રવાહ ના કારણે દરેડના ખોડીયાર મંદિરમાં પાણી ઘુસ્યા હતા, અને માતાજીના ચરણ પખાળ્યા હતા. ત્યારબાદ પાણીનો પ્રવાહ વધી જતાં લગભગ અડધું મંદિર પાણીમાં ગરકાવ થયું હતું.  આજે પણ હજુ  રંગમતી નદીમાં પાણી નો પ્રવાહ ચાલુ રહ્યો છે, અને મંદિર હજુ પણ પાણીમાં ડૂબેલું રહ્યું છે.


Google NewsGoogle News