Get The App

જામનગરમાં પોલીસ અને એસ્ટેટ શાખાની બર્ધન ચોક વિસ્તારમાં રેકડી-પથારાવાળાઓના દબાણ હટાવવાની કાર્યવાહી

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
જામનગરમાં પોલીસ અને એસ્ટેટ શાખાની બર્ધન ચોક વિસ્તારમાં રેકડી-પથારાવાળાઓના દબાણ હટાવવાની કાર્યવાહી 1 - image


Jamnagar Demolition : જામનગરમાં બર્ધન ચોકથી માંડવી ટાવર સુધીના વિસ્તારમાં અને દિપક ટોકીઝથી શાક માર્કેટ સુધીના વિસ્તારમાં રેકડી અને પથારા વાળાઓ ધંધો કરવા માટે ફરી પ્રયત્ન કરતાં એસ્ટેટ વિભાગ અને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે અને ગઈકાલ સાંજે અને આજે બપોરે સુધીમાં 10 થી વધુ રેકડી અને 40 થી વધુ પથારા તેમજ 35 થી વધુ શાકભાજીની લારીના વજન કાંટા કબજે કરી લઇ મહાનગરપાલિકાની કચેરીમાં તેઓનો સામાન જપ્ત કરીને રખાયો છે. કેટલાક રેકડી-પથારાવાળાઓ અને એસ્ટેટ શાખા વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે.

જામનગર શહેરના દરબારગઢથી બર્ધન ચોક થઇને છેક માંડવી ટાવર સુધી અને દિપક ટોકીઝથી શાક માર્કેટ થઈ દરબારગઢ સુધીના સંપૂર્ણ એરિયામાં રેકડી-પથારાના દબાણોને દૂર કરવા માટે મહાનગરપાલિકાનું તંત્ર અને સિટી-એ ડિવિઝન પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. 

ગઇકાલે બર્ધન ચોક વિસ્તારમાં સિટી એ. ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામા આવી હતી, જેમાં કુલ 4,900 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કેટલાક પથારાઓ કબજે કરી લઈ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા હતા.

આજે પણ સિટી એ. ડિવિઝન પોલીસ તથા જામનગર મહાનગર પાલિકાની ટુકડી દ્વારા સંપૂર્ણ એરિયામાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના કારણે અહીંથી રેકડી પથારાવાળાઓમાં નાસભાગ થઈ છે.


Google NewsGoogle News