Get The App

લોકરક્ષક દળ-PSIની ભરતી અંગે હસમુખ પટેલનું મોટું નિવેદન, 'જેમણે બંને પરીક્ષામાં ફોર્મ ભર્યા છે એમને...'

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
IPS hasmukh-patel


Gujarat Police Exam : ગુજરાતમાં પોલીસ વિભાગમાં ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. આ ભરતી અંગે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે મહત્ત્વની માહિતી આપી છે. તેમણે લોકરક્ષક દળ અને પીએસઆઈ બંનેમાં ફોર્મ ભર્યા હોય તેમને મૂંઝવતા સવાલોના જવાબો આપ્યા છે. આ સાથે ભરતીની તારીખોનો પણ અંદાજ આપ્યો છે અને શાંતિપૂર્ણ માહોલમાં કસોટી આપી શકે તે પ્રકારનું આયોજન કરાયું છે.

'25 નવેમ્બરની આસપાસ શારીરિક કસોટી યોજાશે'

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, 'લોકરક્ષક દળ તથા પીએસઆઈ ભરતીની આગળની પ્રક્રિયા ચાલુ છે. શારીરિક કસોટી માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. 25 નવેમ્બર આસપાસ શારીરિક કસોટી શરૂ કરવા માટેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. લગભગ 45 દિવસમાં શારીરિક કસોટીની કામગીરી પૂર્ણ કરાશે. પહેલા પીએસઆઈ અથવા પીએસઆઈ-લોકરક્ષક દળની શારીરિક કસોટી લેવાશે. જેથી પીએસઆઈની શારીરિક કસોટી પૂર્ણ થાય અને તેની લેખિત કસોટી યોજાશે. ત્યારબાદ લોકરક્ષક દળની લેખિત કસોટી યોજાશે. બંને કસોટીઓ SSCની કસોટીઓ પહેલા પૂર્ણ થાય તે માટેનું આયોજન છે. ઉમેદવારો અત્યારથી તૈયારીઓ શરૂ કરી દે. આ ઉમેદવારો શારીરિક દોડની તૈયારી કરી શકે તે માટે સંસ્થાઓને મેદાન ઉપલબ્ધ કરાવવા માટે વિનંતી કરું છું.'

આ પણ વાંચો : 3800 પોલીસકર્મીઓની કરાશે ભરતી, રાજ્ય સરકારનું ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મોટું એલાન

હસમુખ પટેલે શું આપી માહિતી?

  • 25 નવેમ્બર આસપાસ શારીરિક કસોટી લેવામાં આવશે.
  • PSIની લેખિત કસોટી ડિસેમ્બર અંત અથવા જાન્યુઆરીમાં યોજાઈ શકે.
  • લોકરક્ષક દળની લેખિત કસોટી જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીમાં લેવાઈ શકે.
  • શારીરિક કસોટી માટે ઉમેદવારોને મેદાન ઉપલબ્ધ કરાવવા માટે સંસ્થાઓને અપીલ.
  • રાજ્યના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પણ શારીરિક તૈયારીઓ માટે ઉપલબ્ધ કરાવાશે.
  • ઉમેદવારો માટે હેલ્પ લાઈન નંબર આપવામાં આવશે.
  • એક કરતાં વધુ ફોર્મ ભર્યું હશે તેના બધા જ ફોર્મ મર્જ કરવામાં આવશે.

હસમુખ પટેલે જણાવ્યું હતું કે, 'લેખિત કસોટી વહેલા લેવા માંગીએ છીએ. પહેલું પ્રશ્ન પત્ર છે તે હેતુલક્ષી ઓએમઆર, નિબંધલક્ષી પ્રશ્ન પત્ર છે. પીએસાઈની કસોટી જલ્દીથી લઈને પેપર તપાસવામાં વધુ સમય ના લાગે એટલા માટે આ રીતે કરી રહ્યા.'

'ઉમેદવારો માટે હેલ્પલાઈન શરૂ'

હેલ્પલાઈન અંગે માહિતી આપતા હસમુખ પટેલે જણાવ્યું હતું કે, 'સપ્ટેમ્બરમાં ફોર્મ ભર્યા ત્યારે હેલ્પલાઈન શરૂ કરી હતી અને હજુ તે નંબર ચાલુ જ છે. અમે શારીરિક કસોટી માટે કોલલેટર ઈશ્યૂ કરીશું ત્યારે પણ હેલ્પલાઈનનો ઉપયોગ કરીશું. બે વખત ફોર્મ ભર્યા છે તેમના ફોર્મ મર્જરની પ્રક્રિયા ચાલુ છે. આ અંગે અમે વેબસાઈટમાં માહિતી આપીશું. ગત વખત જે 15 થી 17 લોકેશન હતા એ જ લોકેશન રહેશે. લોકરક્ષક દળના 11 લાખ ઉમેદવાર, લોકરક્ષક-પીએસઆઈના 4 લાખ 38 હજાર ઉમેદવાર, માત્ર પીએસઆઈના 60 હજાર ઉમેદવાર છે.'

આ પણ વાંચો : સરકારી નોકરીની તૈયારી કરતા ઉમદવારો માટે ખુશખબર, GPSCએ જાહેર કરી ભરતી

'કસોટીમાં પૈસા આપનાર અને લેનાર સામે થશે કાર્યવાહી'

લેભાગુ તત્વોથી સાવધાન રહેવા હસમુખ પટેલે સલાહ આપી છે. હસમુખ પટેલે ઉમેદવારોને ચેતવ્યા છે કે, 'ઉમેદવારો આવી ભૂલ ના કરે. જેમણે પણ પૈસા લીધા છે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ છે અને જેમણે પૈસા આપ્યા છે તેમને ભવિષ્યની કસોટી માટે રદ કર્યા છે. તેથી પૈસા આપવાના ચક્કરમાં પડશો નહીં. કસોટીની તૈયારી કરો અને સારી રીતે સફળ થાઓ.'


Google NewsGoogle News