વસંત ઋતુમાં તીવ્ર તાપ : રાજકોટ- ભૂજ 36, : સપ્તાહમાં પારો 40 સે.નજીક પહોંચવા વકી
ગુજરાતમાં આ ઉનાળામાં બળબળતો તાપ વરસવાની શક્યતા : ગાંધીનગરમાં સવાર-બપોરના તાપમાન વચ્ચે 22 સે.નો ફરક : ઝડપથી બદલાતા હવામાનથી જનસ્વાસ્થ્ય કથળ્યું, શરદી અને તાવના કેસો વધ્યા કચ્છના રણપ્રદેશ જેવી ગરમી રાજકોટમાં પડે છે : દ્વારકા,દિવ, વેરાવળમાં નહીં ઠંડી, નહીં ગરમી
રાજકોટ, : બે દિવસ પછી શિયાળાની વિદાય સાથે વસંત ઋતુનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અત્યારથી જ પંખા-એસીની જરૃરિયાત વર્તાય તેવો તાપ વરસવાનું શરૂ થયું છે. રાજકોટ અને ભૂજમાં આજે રાજ્યનું સર્વાધિક ૩૬ સે.તાપમાન બપોરે નોંધાયું હતું.મૌસમ વિભાગ અનુસાર ત્રણેક દિવસમાં હજુ સવાર અને બપોરનું તાપમાન ૨ સે. વધી શકે છે જેના પગલે કેટલાક સ્થળોએ તાપમાનનો પારો 40 સે.નજીક પહોંચી જવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રના એક સમયના પાટનગર રાજકોટમાં આજે સવારે 15.7 સે.તાપમાને ઠંડક અનુભવાતી હતી પરંતુ, બપોર થતા જ પારો સડસડાટ 36 સે.એ પહોંચ્યો હતો. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે સવારે 13.4 સે.એ ગુલાબી ઠંડી અનુભવાતી હતી પરંતુ, સાતેક કલાકમાં બપોરે પારો 22 સે. વધીને 35 સે.એ પહોંચ્યો હતો. થોડા કલાકમાં જ તાપમાનમાં 20- સે.થી 22 સે.ની વધઘટને કારણે વાયરલ શરદી-તાવના બનાવોમાં વધારો થયો છે અને હવે આ શરદી-તાવ,ઉધરસ જેવા રોગ જલ્દી મટતા પણ નથી. છેલ્લા કેટલાક સમયથી 20 લાખની વસ્તી ધરાવતા રાજકોટમાં કચ્છના રણપ્રદેશ નજીક હોય તેવી ગરમી પડી રહી છે. ગાંધીનગર ઉપરાંત આજે અમદાવાદ, સુરત, કંડલા, સુરેન્દ્રનગર, મહુવા સહિતના સ્થળોએ પણ તાપમાન 35 સે.ને પાર થયું હતું જ્યારે સવારનું તાપમાન 15 સે.આસપાસ રહ્યું હતું. હજુ ઉનાળો તો એપ્રિલ માસમાં શરૂ થતો હોય છે અને આ વર્ષે લા નીના પ્રવાહથી પણ હવામાન ઠંડુ બન્યું નથી ત્યારે આવનારો ઉનાળો ગુજરાતમાં અતિશય અકળાવનારો બને તેવા એંધાણ મળ્યા છે.