જામનગરમાં રંગમતી નદી પર રિવરફ્રન્ટની કામગીરી અર્થે નિરીક્ષણ : પ્રીમોન્સૂન કામગીરીનો આજથી થયો પ્રારંભ
Jamnagar : જામનગર શહેરને નવું નજરાણું મળી રહ્યું છે, અને લોક ભાગીદારીથી તેમજ ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતિની ઉજવણીના ભાગરૂપે જામનગરની ઐતિહાસિક રંગમતી નદી કે જેના પર રિવરફ્રન્ટ બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે, અને જે મંજૂરીની પ્રક્રિયાઓ ચાલી રહી છે, દરમિયાન પ્રી-મોન્સૂન કામગીરીના ભાગરૂપે આજે પ્રાથમિક તબક્કે રૂપિયા ચાર કરોડના ખર્ચે નદીને ઊંડી ઉતારવાની કામગીરીનો પ્રારંભ થઈ ગયો હતો.
જામનગરના દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ આજે રંગમતી નદીના પટમાં જઈને જાત નિરીક્ષણ કર્યું હતું, અને રિવરફ્રન્ટને અનુરૂપ મહાનગરપાલિકાના અધિકારીઓને સાથે રાખીને જરૂરી સૂચનો કર્યા હતા.
જામનગર મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની તેમજ અન્ય અધિકારીઓની ટીમ વગેરે સ્થળ પર હાજર રહી હતી, અને વહેલામાં વહેલી તકે રિવરફ્રન્ટના પ્રોજેક્ટને આગળ વધારવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રાથમિક તબક્કામાં આજે બે જેસીબી મશીન સહિતની મશીનરી કામે લગાડવામાં આવી છે, અને આવનારા પાંચ દિવસમાં 15થી વધુ જેસીબી તેમજ હિટાચી મશીનોને લગાવીને નિર્ધારિત નદીના ભાગને ઊંડો ઉતારવા અથવા જગ્યા ખુલ્લી કરીને સમથળ કરાવવા માટેની પ્રી-મોન્સૂન કામગીરી કરી લેવામાં આવશે.
ખાસ કરીને આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને નદી અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે, જેનો ઉકેલ લાવવાના ભાગરૂપે આજે સમગ્ર કવાયત કરવામાં આવી હતી. આ વેળાએ ધારાસભ્ય દિવ્યેશ અકબરી સાથે વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર પાર્થ કોટડીયા, પૂર્વ કોર્પોરેટર મહાવીરસિંહ જાડેજા વગેરે પણ જોડાયા હતા, અને જાત નિરીક્ષણ કર્યું હતું.