વડોદરા કોર્પોરેશન દ્વારા મિલકત વેરાની બાકી વસુલાત માટે પ્રોત્સાહક વ્યાજ વળતર યોજના તા. 21 થી અમલી બનશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષના મિલકત વેરાના બીલો ભરવાની મુદતમાં 15 દિવસનો તાજેતરમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી બાજુ કોર્પોરેશનના 721 કરોડના આવકના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં આશરે 382 કરોડ આવક થઈ ચૂકી છે .હવે બાકી વેરાની વસુલાત થઈ શકે તે માટે પ્રોત્સાહક વ્યાજ વળતર યોજના સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર કરી છે. આ યોજના તારીખ 21 થી શરૂ થશે જે 31 માર્ચ સુધી અમલમાં રહેશે. કોર્પોરેશન દ્વારા મિલકત વેરાના બાકી ટેક્સ ની વસૂલાતની કડક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ મિલકતો ઘણી બંધ રહેતી હોવાથી તેમજ કોર્ટ કેસ, લિક્વિડેશન અને રેવન્યુ ક્લેમ જેવા વિવિધ કારણોસર ટેક્સની વસુલાત થઈ શકતી નથી. લોકો બાકી વેરો ભરે અને પાછલા હિસાબો સેટલ થતા જાય તે માટે લોકોને રાહત આપવા માટે પ્રોત્સાહક વ્યાજ વળતર યોજના લાગુ કરવાનું વિચારવામાં આવ્યું છે. ભાડા આકારણી પદ્ધતિ મુજબ કોઈપણ કરદાતા પાછલી બાકી રકમ ભરે તો તેને નોટિસ ફી, વોરંટ ફી વગેરેમાં તેમજ વ્યાજની રકમમાં 100 ટકા વળતર અપાશે. જો બિલમાં વ્યાજની રકમ બાકી હોય તોપણ 100 ટકા વળતર અપાશે. ટેક્સ અપીલ અને રિટર્ન થયેલા ચેક ની ડિમાન્ડ બાકી હશે તો તેમાં વળતર યોજનાનો લાભ અપાશે. કોર્પોરેશનમાં ક્ષેત્રફળ આધારિત આકારણી પદ્ધતિ વર્ષ 2003-04 થી અમલમાં આવી છે. વર્ષ 2023 -24 સુધી બાકી રકમ પર વળતર આપવામાં આવશે. તમામ રહેણાંક મિલકતોની પાછલી બાકી રકમ પર ચડેલા વ્યાજ ઉપર 80 ટકા વળતર અપાશે. જ્યારે કોમર્શિયલ મિલકતો માટે પણ પાછલી બાકી રકમ પર ચડેલા વ્યાજ પર 80% વળતર આપવામાં આવશે. વર્ષ 2023 સુધી મિલકત વેરાના બિલમાં જો ફક્ત વ્યાજની રકમ બાકી હશે તો પણ આ યોજનાનો લાભ મળી શકશે. વર્ષ 2003-04થી 2024 -25 સુધીના વેરા પૂરેપૂરા ભરપાઈ કરશે તો આ યોજનાનો કોર્પોરેશન લાભ આપશે .કોઈપણ નાગરિકના ભાડા આકારણી પદ્ધતિના નાણા બાકી હોય અને ફક્ત ક્ષેત્રફળ આધારિત પદ્ધતિ મુજબ વર્ષ 2024 -25 સુધીના વેરાની રકમ ભરે તો તેને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે.