વડાપ્રધાન મોદીના હસ્તે બનાસકાંઠામાં બનાસ ડેરી સંકુલનુ લોકાર્પણ
- પીએમ મોદી જામનગરમાં WHOના સહકારથી બનનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું લોકાર્પણ કરશે
ગાંધીનગર, તા. 19 એપ્રિલ 2022, મંગળવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ગઈ કાલે સાંજે તેમણે ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને પોતાના 3 દિવસના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાની મુલાકાતે છે ત્યારે તેઓ અહીંની બનાસ ડેરીના નવા સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અત્યાધુનિક સુવિધાઓ અને પશુઓનું ખાસ ધ્યાન રખાય તે બાબતોને ધ્યાનમાં રાખીને બનાસ ડેરીનું નવું સંકુલ ઉભું કરવામાં આવ્યું છે. બનાસકાંઠા દિયોદર ખાતે 600 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવેલ નવું ડેરી સંકુલ અને બટાટા પ્રેસિંસિગ પ્લાન્ટ 19 એપ્રિલે સવારે રાષ્ટ્રને સમર્પિત કરાશે. નવું ડેરી સંકુલ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ છે. આ પ્લાન્ટ લગભગ 80 ટન માખણ, 1 લાખ લિટર આઈસ્ક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ મિલ્ક અને 6 ટન ચોકલેટનું ઉત્પાદન કરીને દરરોજ લગભગ 30 લાખ લિટર દૂધની પ્રક્રિયા કરવામાં સક્ષમ રહેશે.
19 એપ્રિલ એટલે કે, આજે પીએમ મોદી જામનગરમાં WHOના સહકારથી બનનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. જામનગરમાં સ્થાપનારૂ આ સેન્ટર સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન આપવા માટે પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરૂં પાડશે, તેમજ પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવામાં ઉપયોગી થશે.
એટલું જ નહિ, આ સેન્ટર પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પૂરૂં પાડશે તેમજ પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે. વડાપ્રધાને આ અગાઉ નવેમ્બર 2020માં જામનગરમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA)ને ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરલ ઈમ્પોર્ટન્સ તરીકે જાહેર કર્યું છે.