સાળંગપુરમાં હનુમાનદાદાને 8 કિલો સોનાના વાઘા પહેરાવામાં આવ્યા
22 ડિઝાઇનર અને 100 કારીગરોએ મહિનાઓ સુધી મહેનત કરી હતી
વાઘા માટે ભકતો દ્વારા 250 રૂપિયાથી માંડીને 1 કરોડ સુધીનું દાન મળ્યું હતું
અમદાવાદ,14,જાન્યુઆરી,2020,શનિવાર
સામાન્ય રીતે ભારતીય પરંપરામાં ભગવાનની મૂર્તિઓને વસ્ત્રો ઓઢાડવામાં આવે છે અથવા તો પાછળથી વેલ્કો કે પછી દોરીથી બાંધવામાં આવતા હોય છે પરંતુ કાળી ચૌદશે સુપ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં હનુમાનદાદાને ૮ કિલો સોનાના વાઘા પહેરાવવામાં આવ્યા છે. ૮ કિલો સોના ઉપરાંત કષ્ટભંજનના વાઘામાં ૧ કરોડના હિરા પણ જડવામાં આવ્યા છે. આ વાઘા તૈયાર કરવામાં ૨૨ જેટલા મુખ્ય ડિઝાઇનર આર્ટિસ્ટ અને ૧૦૦ જેટલા કારીગરોએ મહિનાઓ સુધી મહેનત કરી છે. આ સુવર્ણવાઘાએ અવાર્ચીન અને પ્રાચીન સુવર્ણકળાનું કોમ્બીનેશન છે. કષ્ટભંજનના વાઘામાં રિયલ ડાયમંડ, એમરલ્ડ અને રિયલ રુબી, બિકાનેરી મીણો,એન્ટિક વર્કનો સમન્વય જોવા મળે છે.
આ અંગે વાત કરતા સાળંગપુરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ જણાવ્યું કે આગેવાન સંતો અને એક્ષપર્ટ ટીમે હનુમાન દાદાને રીતસરનું વસ્ત્ર ધારણ થાય એમ પ્રકારનું ડિઝાઇનિંગ કરવું એવું નકકી કર્યુ હતું. જેમાં હુક ઉપર નહી પરંતુ ખરા અર્થમાં દાદા સુવર્ણવાઘા ધારણ કરે તે માટે સ્પેશિયલ ડીઝાઇનરોની ટીમ તૈયાર કરવામાં આવી હતી. વાઘામાં સંતોના માર્ગદર્શનથી મુગુટ અને કુંડળમાં સાચા હીરા જડિત રુબી અને એમ્રલ્ડ સ્ટોનનું સમન્વય હોય કે પછી ફીલિગ્રી વર્ક સોનામાં ૩ ડી વર્ક સર્વોતમ થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. વિશ્વમાં અનોખી સુવર્ણ વાઘાની ડિઝાઇન માટે ભકતો તરફથી ૨૫૦ રુપિયાથી માંડીને ૧ કરોડ સુધીનું દાન મળ્યું હતું.
આમ તો આ વર્ષે ૮ એપ્રિલ ૨૦૨૦ હનુમાન જયંતિના રોજ ભકતો વિશિષ્ટ સુવર્ણવાઘાના દર્શન કરી શકે તેવું નકકી કરવામાં આવ્યું હતું અને કાર્ય પણ એજ ગણતરીમાં ચાલતું હતું. અચાનક જ દેશમાં લોકડાઉન આવતા કષ્ટભંજનના વાઘા નિર્માણનું કામ પણ બંધ કરવામાં આવ્યું હતું. લોકડાઉન ખુલ્યું ત્યાં તો ૪ કારીગરો કોવિડ-૧૯ના સકંજામાં આવી ગયા અને એ સમૂહના જ એક કારીગરનું મુત્યુ થતા કારીગરો કામ છોડીને પોતાના દેશ ચાલ્યા ગયા હતા. સાળંગપુર મંદિરના સંતો અને વાઘા નિર્માણ સાથે સંકળાયેલી કોરટીમ પોતાની હનુમાનજી મહારાજ પ્રત્યેની પોતાની શ્રધ્ધા અને નિષ્ઠાને એક ક્ષણ માટે પણ ડગવા દીધી ન હતી. કોરોનાની તકલીફમાંથી કારીગરો બહાર નિકળતા ફરી કામ શરુ થયું હતું. આ સુવર્ણવાઘા અવાર્ચીન અને પ્રાચીન સુવર્ણકળાનું કોમ્બીનેશન છે