જવાહરનો વધુ એક પેજર બોમ્બ: 'કોંગ્રેસમાં હતો તો ભાજપે મદદ કરી, ભાજપમાં આવ્યો તો હરાવવા મથ્યા'

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
જવાહરનો વધુ એક પેજર બોમ્બ: 'કોંગ્રેસમાં હતો તો ભાજપે મદદ કરી, ભાજપમાં આવ્યો તો હરાવવા મથ્યા' 1 - image


Javahar Chavada Pager Bomb : પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ ભાજપના નેતાઓની ઉંઘ હરામ કરી દીધી છે. દરરોજ નવા-નવા ફણગાઓ ફોડવામાં આવે છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સહિતના આગેવાનોએ ચાવડા જ્યારે વર્ષ 2017માં કોંગ્રેસમાંથી વિધાનસભાની માણાવદર બેઠકની ચૂંટણી લડયા ત્યારે તેમને મદદ કરી. અને પક્ષપલટા બાદ એ જ બેઠક પર 2019ની ચૂંટણી ભાજપમાંથી લડયા ત્યારે તેમની વિરૂદ્ધમાં કામ કર્યું હતું. જવાહર ચાવડા દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવતા ભાજપ તથા ખાસ તો સ્થાનિક સંગઠનના આક્ષેપિત આગેવાનો બચાવની પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. આ સમગ્ર મામલે ચાવડાએ તે સમયના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને લેખિત ફરિયાદ પણ કરી હતી.

ભાજપમાં ચાલતો ઉકળતો ચરૂ ચરમ સીમાએ છે. ભાજપના નેતાઓએ સામસામી તલવારો ખેંચી હોય તેમ નવા-નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. પૂર્વ મંત્રી અને ભાજપના નેતા જવાહર ચાવડા તા. 26 એપ્રિલ 2019 ના તેઓ પ્રવાસન મંત્રી હતા, ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને લેખિતમાં ફરિયાદ કરી હતી કે, તેમને ભાજપે ટિકીટ આપી તે બદલ આભાર પરંતુ ભાજપના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા તેમને અને પક્ષને 2019ની પેટા ચૂંટણીમાં હરાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. 

જેમાં માણાવદર વિસ્તારમાં જેઠાભાઈ પાનેરા, વંથલીમાં દિનેશ ખટારીયા, ટીનુ ફળદુ અને જૂનાગઢના ભાજપ અગ્રણી નિલેશ ધુલેશીયાએ ચૂંટણીમાં ભાજપને અને ઉમેદવારને નુકસાન થાય તેવી પ્રવૃતિ કરી છે. જ્યારે જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે પાર્ટી વિરોધી પ્રવૃતિમાં સહકાર આપી મુખ્ય સુત્રધાર તરીકેની કામગીરી કરી હતી. હાલમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારનો બચાવ થાય તેવી કામગીરી કરે છે.

આ પહેલાં જ્યારે વર્ષ 2017માં જવાહર ચાવડા કોંગ્રેસમાંથી માણાવદર વિધાનસભાની ચૂંટણી લડતા હતા ત્યારે જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, પૂર્વ મંત્રી રતીભાઈ સુરેજા, પૂર્વ સંસદીય સચિવ એલ.ટી. રાજાણી, દિનેશ ખટારીયાએ તેમને મદદ કરી ભાજપના ઉમેદવાર નિતીન ઉર્ફે ટીનુ ફળદુને હરાવવા કામગીરી કરી હતી. ચાવડાએ પ્રદેશ ભાજપ પ્રમુખને લખેલા પત્રમાં જણાવ્યા મુજબ દુઃખની વાત એ છે કે 2017 અને 2019ની ચૂંટણીઓમાં ભાજપ વિરોધી કામ કરેલ હોવા છતાં તેઓ જીલ્લા ભાજપના મુખ્ય હોદ્દાઓ ભોગવી રહ્યા છે. 

વર્ષ 2019ની ચૂંટણીમાં પાર્ટી વિરોધી પ્રવૃતિ કરી ભાજપને નુકસાન પહોંચાડી મારો પરાજય થાય તેવા સતત પ્રયત્નો કર્યા હતા. જેથી તેમના ઉપર કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે. ભવિષ્યમાં આવનાર ચૂંટણીઓમાં ભાજપને નુકસાન થતું અટકાવી શકાય. ભાજપના હોદ્દેદારોએ કેવા કરતુતો કર્યા હતા તે અંગે જવાહર ચાવડાએ કરેલી ફરિયાદનો તે સમયનો પત્ર જાહેર કરતા ભાજપમાં ચાલતો જુથવાદ કેટલી હદે છે તેનો આ ઉત્તમ નમૂનો છે. એક બાદ એક લેટર બોમ્બથી ભાજપના નેતાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. આગામી સમયમાં ભાજપ દ્વારા શું કાર્યવાહી થાય તેના પર અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.


Google NewsGoogle News