ગુજરાતમાં ભાજપના નેતાઓ વિરુદ્ધ પોસ્ટર કાંડ ખુદ ભાજપના કાર્યકર અને નેતા ચલાવી રહ્યાનો IBનો રિપોર્ટ

આ કેસમાં કોંગ્રેસ પ્રમુખને મુખ્ય સૂત્રધાર તરીકે સ્થાનિક પોલીસે દર્શાવ્યા હતા

Updated: Mar 25th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં ભાજપના નેતાઓ વિરુદ્ધ પોસ્ટર કાંડ ખુદ ભાજપના કાર્યકર અને નેતા ચલાવી રહ્યાનો IBનો રિપોર્ટ 1 - image

 

Lok Sabha Election 2024 | ભાજપના લોકસભા ચૂંટણીના ઉમેદવાર  વિરૃદ્ધ શરૃ થયેલા પોસ્ટર કાંડમાં અટલાદરા અને વારસિયા પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે રાજકીય વતૃળમાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે, ભાજપને બદનામ કરવાની આ પ્રવૃત્તિમાં આઇ.બી.ને પણ તપાસ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આઇ.બી.એ એક ગુપ્ત અહેવાલ તૈયાર કરીને ગાંધીનગર મોકલી આપ્યો છે. જેમાં ભાજપના એક નેતા અને કાર્યકરની સંડોવણીની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે રાજકીય મોરચે ગરમાવો આવી ગયો છે.

સંગમ ચાર રસ્તાથી હરણી વારસિયા રીંગ રોડ તરફ જતા રસ્તા પર આવતી ઝવેર નગર સોસાયટી, ગાંધી પાર્ક સોસાયટી, લલ્લુભાઇ પાર્ક સોસાયટી, વિસ્તારમાં કેટલાક બેનરો લગાડવામાં આવ્યા હતા. જે બેનરોમાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરૃદ્ધ પ્રચાર કરતા લખાણ હતા. વારસિયા પોલીસે આ ગુનામાં (૧) હરિશ ઉર્ફે હરિ છગનભાઇ ઓડ ( રહે. દુર્વા હાઇટ્સ, ડી - માર્ટની બાજુમાં ખોડિયાર નગર ચાર  રસ્તા  પાસે) (૨) ધ્રુવિત ભૂપેન્દ્રભાઇ વસાવા (રહે. યોગજીવન સોસાયટી, વૃંદાવન ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ) તથા (૩) ફાલ્ગુન મનહરભાઇ સોરઠીયા (રહે. શિવાકૃતિ ટેનામેન્ટ, દંતેશ્વર) ને ઝડપી પાડયા હતા.

જ્યારે અટલાદરા જતા રોડ પર ખિસકોલી સર્કલની રેલિંગ પર આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત કેટલાક વ્યક્તિઓએ બેનર લગાવ્યા હતા કે, સીએ અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં કોઇ રસ નથી ? જેથી, અટલાદરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી (૧) રાકેશ જગદીશભાઇ ઠાકોર ( રહે. તલસટ ગામ, શ્રીજી ફળિયું, તા.વડોદરા) (૨) હર્ષદભાઇ અરવિંદભાઇ સોલંકી ( રહે. કપુરીબા વિલા, વેલકેર હોસ્પિટલની સામે, અટલાદરા) તથા (૩) નિતીન રયજીભાઇ પઢિયાર ( રહે. મારૃતિ નંદન સોસાયટી, અટલાદરા) ને ઝડપી પાડયા  હતા. 

આ સમગ્ર મામલાની તપાસ માટે ઉચ્ચ કક્ષાએથી આઇ.બી.ને  પણ તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. રાજકીય મોરચે ચર્ચા ચાલી રહી છે કે, આ કાંડમાં ભાજપના એક અગ્રણી  અને કાર્યકરની સંડોવણી હોવાનો રિપોર્ટ આઇ.બી.દ્વારા ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યો છે. જોકે, આઇ.બી.ના અધિકારીએ આ વાતને સમર્થન આપ્યું નથી. ઉલ્લેખનીય છે કે,  આ કેસમાં સ્થાનિક પોલીસે મુખ્ય સૂત્રધાર તરીકે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું નામ ડિક્લેર કર્યુ હતું.


Google NewsGoogle News