દમણમાં IAS અધિકારીએ બાળક સામે પેન ચોરીની ફરિયાદ નોંધાવી, દબાણવશ પોલીસે સગીરની ધરપકડ કરી
Daman News : કેન્દ્રશાસિત પ્રદેશ દમણના પોલીસ સ્ટેશનમાં અચરજ પમાડે તેવી ચોરીની ફરિયાદ નોંધાઈ અને આ ફરિયાદ નોંધાવનાર બીજુ કોઈ નહીં પણ દમણમાં કાર્યરત એક IAS અધિકારી છે. કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રના વર્ષ 2010ની બેચના IAS અધિકારી અજય ગુપ્તાએ તેમના ઘરમાંથી 3 પેનની ચોરી થઈ હોવાની ફરિયાદ નાની દમણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. અને તેના માટે સગીર બાળકને જવાબદાર ઠેરવ્યો હતો. પોલીસે પણ અધિકારીના દબાણના કારણે બાળકની ધરપકડ કરી હતી.
અધિકારીના ટેબલ પર પડી હતી 3 પેન
સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, દાવો કરાઈ રહ્યો છે કે, IAS અધિકારી અજય ગુપ્તાના સરકારી આવાસ પાસે કેટલાક બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન સગીર બાળકની નજર IAS અધિકારીના બંગલાની અંદર રહેલાં એક ટેબલ પર ત્રણ પાર્કર પેન પડી હતી, જેને બાળકો ચોરી ગયા હતા. જેની જાણ થતા IAS અધિકારીને નાની દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અધિકારીની ફરિયાદ બાદ પોલીસ પણ અસમંજસમાં આવી હતી. પરંતુ IAS અધિકારીના દબાણના કારણે પોલીસે સગીર બાળકના ભવિષ્યને નજરઅંદાજ કરીને ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(એ) અને 331(4) હેઠળ ગુનો દાખલ કરીને બાળકની ધરપકડ કરી હતી.
બાળકને મળ્યા જામીન
પોલીસે બાદમાં સગીર બાળકને કાયદા અનુસાર જુવેનાઇલ અને જસ્ટિસ બોર્ડના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં બાળકને જામીન આપી તેનો કબજો તેના પિતાને સોંપી દેવામાં આવ્યો હતો. આરોપી બાળક ધોરણ 8નો વિદ્યાર્થી હોવાની માહિતી મળી છે. જામીન મળતા જ બાળકના પિતા પુત્રને લઈને ત્યાંથી રવાના થઈ ગયા હતા
જે વિભાગની જવાબદારી છે તેનાથી વિપરીત કામ
આશ્ચર્યની વાત તો એ છે કે આ અધિકારી પાસે સમાજ કલ્યાણ અને મહિલા-બાળ વિકાસ વિભાગની જવાબદારી છે. છતાં પેન ચોરી જેવી બાબતે બાળક સામે ફરિયાદ નોંધાવી. તેમણે ધાર્યું હોત તો તેઓ પોલીસને બાળકને શોધી લાવવાનું કહી, તે બાળકોને મળી સમજાવી પણ શક્યા હોત. અને બાળક સાથે સારો વ્યવહાર કરી તેને મદદરૂપ થઈ શક્યા હોત. પરંતુ તેમણે એવું કર્યું નહીં. અધિકારીનો આ વ્યવહાર કદાચ બાળકના મનમાં ઘર કરી જશે તો તેની બાળકના માનસ પર વિપરીત અસર પણ થઈ શકે છે.
અધિકારીના વલણની થઈ રહી છે ટીકા
સમગ્ર ઘટનાને લઈને લોકોએ IAS અધિકારીના નકારાત્મક વલણની ટીકા કરી હતી. દમણમાં લોકો સવાલ કરી રહ્યા છે કે, 'આવી માનસિકતા ધરાવતા સમાજ કલ્યાણ વિભાગના સચિવે અત્યારસુધીમાં કેટલાં બાળકોનું ભલુ કર્યું હશે?.' બીજી તરફ, જ્યારે આ મામલે સુનાવણી થશે ત્યારે ચોરી થયેલી ત્રણ પેનનું IAS અધિકારી પાસે બિલ માગવામાં આવશે. વધુમાં પેન પર કોઈપણ પ્રકારનો નંબર નોંધાયેલ નથી, કે જેથી પોલીસ તપાસ પછી ચોરાયેલી પેનની રિકવરી સાબિત કરી શકાય.