'હા, મેં મારી પત્નીને મારી નાખી...', સાવરકુંડલામાં મહિલાની ઘાતકી હત્યાનું કારણ ધ્રૂજાવી દેનારું, પતિએ કર્યા ખુલાસા
Amreli News : અમરેલીના સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામ ખાતે રહેતા દંપતી રસોઈનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 19 ફેબ્રુઆરી, 2025ના રોજ પતિએ પત્નીની હત્યા કરી હોવાની ધ્રૂજાવી દેતી ઘટના સામે આવી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પત્નીની અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની શંકાને લઈને પતિએ આ પ્રકારનું કૃત્ય કર્યુ હોવાનો ખુલાસો કર્યો હતો. સાવરકુંડલા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.
શું હતી સમગ્ર ઘટના?
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના પુંજાપાદર ગામના વતની પરેશ ઉર્ફે કાના નિમાવત અને તેમના પત્ની આશાબહેન ચાર બાળકો સાથે સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામે છેલ્લા બે વર્ષથી પટેલ સમાજને ત્યાં ભોજનાલયમાં રસોઈ બનાવવાનું કામ કરતા હતા. જેમાં તેમને 11,000 પગાર ચૂંકવવામાં આવતો હતો. પરેશ અને આશાના લગ્નના 15 વર્ષ થયા હતા. તેમને ત્રણ દીકરીઓ અને બે વર્ષનો દીકરો છે. ઘટના એમ છે કે, પરેશને તેની પત્ની આશા પર છેલ્લા ઘણા સમયથી આડા સંબંધો અને ચારિત્રની શંકા હતી. જેને લઈને તેમના વચ્ચે અવારનવાર હળવી બોલાચારી થતી. તેમજ પત્ની મોબાઇલમાં અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોવાની પરેશને શંકા હતી.
સમગ્ર બાબતે 19 ફેબ્રુઆરી, 2025ની રાત્રે પરેશ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પરેશ વહેલી સવારે ઘાતકી હથિયાર લાવીને પોતાની પત્નીના પેટના ભાગે ઘા મારીને મોતની ઘાટ ઉતારી દે છે. પતિ અને પત્નીના ઝઘડા દરમિયાન બાળકો જાગી જતા પરેશ તેમને બાઈક મારફતે પુંજાપાદર ખાતે રહેતા પોતાના કૌટુંબિક ભાઈને ત્યાં મુકી આવ્યો હતો. જો કે, સમગ્ર ઘટના મામલે ગ્રામજનોને જાણ થઈ હતી અને તેમણે સાવરકુંડલા તાલુકા પોલીસને ઘટના અંગે જાણકારી આપી હતી. આ પછી ડીવાયએસપી, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: રાજકોટમાં 17 વર્ષીય સગીરનો આપઘાત, વહેલી સવારે નમાજ પઢવાની ચાદર વડે ગળેફાંસો ખાધો
સમગ્ર ઘટના મામલે મૃતક મહિલાના પિતાને જાણ થતાં તેમણે પુંજાપાદર અને ત્યારબાદ સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશને પહોંચીને જમાઈ પરેશ નિમાવત વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, મૃતક મહિલાના પિતાએ પરેશની બહેન સાથે પોતાના દીકરાના પણ લગ્ન કર્યા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.
અમરેલીના ડીવાયએસપીએ શું કહ્યું?
અમરેલીના ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, 'સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામે હત્યાના બનાવમાં નાસી ગયેલા પરેશ નિમાવતની પુંજાપાદર ગામેથી અટકાયત કરી લેવામાં આવી હતી. જ્યારે સમગ્ર ઘટના મામલે પૂછપરછ કરવામાં આવી ત્યારે આરોપીએ પત્નીના આડા સંબંધો હોવાના કારણે હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. હાલ સમગ્ર ઘટનાની તપાસ સાવરકુંડલા તાલુકા પોલીસ પીઆઈ કરી રહ્યા છે. '