અમરેલી પાયલ ગોટી કેસમાં DSPને માનવ અધિકાર પંચની નોટિસ, એક મહિનામાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવા હુકમ
Amreli News : અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં પાટીદાર યુવતી પાયલ ગોટી સામે કાર્યવાહી થઈ હતી. ત્યારે હવે પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને અમરેલી લેટરકાંડ મુદ્દે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ હરકતમાં આવ્યું છે. જેમાં પંચે અમરેલી પાયલ ગોટી કેસ મામલે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકને નોટિસ આપી છે અને 4 અઠવાડિયામાં આ મુદ્દે એક્શન ટેકન રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
DSPને માનવ અધિકાર પંચની નોટિસ
અમદાવાદના માનવ અધિકાર કાર્યકતા કાંતિલાલ પરમાર દ્વારા અમરેલી ખાતે પાયલ ગોટીના કેસની ઘટનામાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને અમરેલીના DSPને આયોગ દ્વારા નોટિસ ફટકારીને ચાર અઠવાડિયામા એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા.
આ પણ વાંચો: અમરેલી લેટરકાંડ: જેલ મુક્ત પાયલ ગોટીએ બે દિવસ બાદ પત્રકાર પરિષદ યોજી, ન્યાયની માગ કરી
સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી. જો કે, ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને 3 જાન્યુઆરી 2025ના રોજ જામીન મળ્યા હતા અને જેલ મુક્ત થઈ હતી.