જસદણના લાખાવડ ગામે પ્રચંડ ધડાકો થતાં મકાન તૂટી પડયું, FSL દ્વારા તપાસ

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
જસદણના લાખાવડ ગામે પ્રચંડ ધડાકો થતાં મકાન તૂટી પડયું, FSL દ્વારા તપાસ 1 - image


મંગળવારે મોડી રાત્રે જોરદાર ધડાકો થતાં આજુબાજુ રહેતા લોકો ઘરની બહાર દોડી ગયા : ઘરમાં વિસ્ફોટકોને કારણે ધડાકા થયાના અનુમાન સાથે હાથ ધરવામાં આવેલી તપાસમાં વિસ્ફોટકો ન મળ્યા, ડીજેની સાઉન્ડ સીસ્ટમની બેટરીમાં બ્લાસ્ટ થયાની શંકા

જસદણ, : મંગળવારની મોડી રાત્રે જસદણ તાલુકાના લાખાવડ ગામે બંધ મકાનમાં પ્રચંડ વિસ્ફોટ થતા આખુ મકાન ધરાશાયી થઈ ગયું હતું. આ બનાવની જાણ થતા એલસીબી અને એસઓજીનો સ્ટાફ એફએસએલ અધિકારીઓ બોંબ સ્કવોડ સાથે ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા મકાનમાં રહેલી સિસ્ટમમાં થયેલા પ્રચંડ વિસ્ફોટના કારણે મકાન ધરાશાયી થયું હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના લાખાવડ ગામે રહેતા રસીકભાઈ લાલજીભાઈ સાપરાના બંધ મકાનમાં મોડી રાત્રે પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેના કારણે આજુબાજુમાં રહેતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, આખા મકાનના કુરચા ઉડી ગયા હતા. અને આખુ મકાન જમીન દોસ્ત થઈ ગયું હતું. આ બનાવની પોલીસને જાણ કરતા એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરા, એસઓજી પીએસઆઈ બી.સી. મીયાત્રા સહિતનો સ્ટાફ બોંબ સ્કોડ અને એફએસએલ અધિાકરી સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. એફએસએલ અધિકારીની તપાસમાં બંધ મકાનમાંથી કોઈ વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો ન હતો. પરંતુ મકાનમાં ડી.જે.ની સાઉન્ડ સિસ્ટમ અને બેટરીનો જથ્થો પડયો હોય તેમાં બ્લાસ્ટ થયો હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જો કે, મોડી રાત્રે મકાનનો કાટમાળ ખસેડવામાં વાર લાગતા આજે સવારે એફએસએલના અધિકારીઓ ફરી ઘટના સ્થળે દોડી જઈ મકાનનો કાટમાળ ખસેડી ધડાકો શેના કારણે થયો તે મુદ્દે ફરી તપાસ હાથ ધરી છે.

એફએસએલ અધિકારીની તપાસમાં બંધ મકાનમાંથી કોઈ વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો ન હતો. પરંતુ મકાનમાં ડી.જે.ની સાઉન્ડ સિસ્ટમ અને બેટરીનો જથ્થો પડયો હોય તેમાં બ્લાસ્ટ થયો હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. આજે સવારે એફએસએલના અધિકારીઓ ફરી ઘટના સ્થળે દોડી જઈ ધડાકો શેના કારણે થયો તે મુદ્દે ફરી તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે મકાનમાલીક રસીકભાઈ કોળી પરિવાર સાથે વાડીમાં આવેલ મકાનમાં રહે છે જ્યારે ગામમાં રહેલ મકાનમાં તેઓ સાઉન્ડ સિસ્ટમ, ડી.જે સિસ્ટમ રાખતા હોવાનું જાણવા મળ્યું છે.

મોડી રાત્રે નાનાએવા લાખાવડ ગામમાં થયેલા પ્રચંડ વિસ્ફોટના કારણે ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો હતો. વિસ્ફોટને પગલે ગ્રામજનોમાં એવી ચર્ચા થઈ હતી કે, મકાનમાં કોઈ વિસ્ફોટક પદાર્થ પડયો હોય તેના કારણે આ ધડાકો થયો હોવાની વાતો વહેતી થઈ હતી. એફએસએલ અધિકારીઓની પ્રાથમિક તપાસમાં કોઈ વિસ્ફોટક વસ્તુ મળી આવી નથી. પરંતુ આજે સવારથી ફરી મકાનનો કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મકાનનો કાટમાળ ખસેડયા બાદ જ વિસ્ફોટની સાચી હકીકત જાણી શકાશે.

પહેલા બે પ્રચંડ ધડાકા થયા અને બાદમાં ભીષણ આગ લાગી

મકાન મલિક રસિકભાઇ સાપરાના જણાવ્યા મુજબ અમે આ ઘરે કોઇ વર્ષોથી નથી અને અમે વાડીએ જ રહીએ છીએ. હું ગઇ રાત્રે 10 વાગ્યા આસપાસ નવરાત્રી હોવાથી ગરબી ચોકમાં હતો ત્યારે મારા પાડોશીનો ફોન આવ્યો કે તમારા ઘરમાં બે ધડાકા થયા છે અને ઘરમાં આગ લાગી છે. જેથી હું બાઇક લઇને મારા મિત્ર સાથે તાત્કાલીક ઘરે આવ્યો અને જોયું તો મારું મકાન સળગતું હતું. તે બે ધડાકા ક્યાં કારણોસર થયા છે તેની અમને ખબર નથી. પછી અમે ફાયર બ્રિગેડને જાણ કરી અને કલાકો સુધી પાણીનો મારો ચલાવી મોડી રાત્રે આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ લાગવાથી અમારા ઘરમાં રહેલી કિંમતી ચીજવસ્તુઓ અને ડી.જે. સાઉન્ડ સીસ્ટમનો તમામ માલ બળીને ખાખ થઇ ગયાનું જણાવ્યું હતું.



Google NewsGoogle News