જામનગર જળમગ્ન: ઘરો ડૂબ્યાં, રસ્તાઓ બંધ, લોકોને હેલિકોપ્ટરથી બચાવાયા, જુઓ ભયંકર આકાશી દ્રશ્યો

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
જામનગર જળમગ્ન: ઘરો ડૂબ્યાં, રસ્તાઓ બંધ, લોકોને હેલિકોપ્ટરથી બચાવાયા, જુઓ ભયંકર આકાશી દ્રશ્યો 1 - image


Heavy Rain in Jamnagar :   અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિત ગુજરાતનાં અનેક જિલ્લામાં છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અતિભારે વરસાદના કારણે વડોદરામાં પરિસ્થિતિ વણસી છે. વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે જળતાંડવના કારણે જામનગર પણ જળમગ્ન થઈ ગયું છે. 

જામનગરમાં ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે રંગમતી ડેમના પાંચ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જેના કારણે રંગમતી નદીએ પણ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. 

જામનગરના ડ્રોન કેમેરાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જાણે આખું શહેર જ પાણી પાણી થઈ ગયું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. 



આટલું જ નહીં ભારે વરસાદના કારણે લાલપુર તાલુકામાં 11 લોકો પાણીના પ્રવાહની વચ્ચે ફસાઈ ગયા હતા. જોકે તંત્રએ સતર્કતા દાખવી તમામ લોકોને હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે. 

ત્રણ દિવસમાં 15 લોકોના મોત 

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યા છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓ અને શહેરોમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં વરસાદના કારણે જુદી જુદી બનેલી ઘટનાઓમાં 15 લોકોએ જીવ પણ ગુમાવવા પડ્યા છે, જ્યારે 17000 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાની તબાહી છતાં હવામાન ખાતાએ હજુ 72 કલાકનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આવતીકાલ માટે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. અતિવૃષ્ટિની સાથે આ જિલ્લાઓમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના ચમકારાની પણ શક્યતા છે, જેના કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ અપાઈ છે.



Google NewsGoogle News