CYCLONE BIPARJOY : ગુજરાતના આ જિલ્લાઓમાં થઈ શકે છે સૌથી વધુ અસર
મોરબી, રાજકોટ, દીવમાં NDRFની 1 - 1 ટીમ તૈનાત અને વધારાની 3 ટીમ વડોદરામાં રિઝર્વ
કચ્છમાં NDRFની 2, જામનગર, દ્વારકામાં 1 ટીમ તૈનાત
બિપરજોય વાવાઝોડાનું જોખમ સતત વધતું જઇ રહ્યું છે. તે અતિ ગંભીર વાવાઝોડાની કેગેટરીમાં પ્રવેશી ગયું છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે પણ અગાઉ જાહેર કરેલા યલ્લો એલર્ટને પાછું ખેંચી નવું ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે જે દર્શાવે છે કે વાવાઝોડું વધુ ઘાતક બની ગયું છે. આ દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગમાં કચ્છ, દ્વારકા, પોરબંદર, મોરબી, જામનગર, રાજકોટ માટે આ વાવાઝોડું તારાજીનું કારણ બની શકે છે. ગુજરાતના 7 જિલ્લામાં વાવાઝોડાનો સૌથી વધારે ખતરો છે.
કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા
માહિતી અનુસાર બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તેની સાથે રાજકોટ, જામનગર, પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરાઈ છે. તંત્રએ પણ લોકો માટે સુરક્ષિત કેવી રીતે રહેવું તે અંગે કેટલાક સૂચનો ધરાવતી ગાઈડલાઈન્ જાહેર કરી છે. હાલ વાવાઝોડાની દિશા ઉત્તર - ઉત્તર પૂર્વ તરફ છે. બિપરજોય વાવાઝોડુ પોરબંદરથી 350 કિમી દૂર જ રહી ગયું છે.
નલિયાથી 500 કિમી દૂર, પવનની ઝડપ પણ 150 કિ.મી. પ્રતિકલાકની રહેશે
બિપરજોય વાવાઝોડું નલિયાથી 500 કિમી દૂર છે. સાથે જ દરિયામાં પવનની ઝડપ 150 કિમી પ્રતિ કલાકની રહેવાની આશંકા છે.. દરિયા કિનારે ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. કચ્છમાં NDRFની 2, જામનગર, દ્વારકામાં 1 ટીમ તૈનાત છે. મોરબી, રાજકોટ, દીવમાં NDRFની 1 - 1 ટીમ તૈનાત છે. તથા વડોદરામાં વધારાની 3 ટીમ રિઝર્વ રહેશે.