ભારે વરસાદ તથા ડેમના પાણી છોડાતા માળિયા પંથકમાં મીઠાંનાં અગરો ધોવાયા
મીઠાંનો સંગ્રહ કરેલ 30- 35 ટકા જથ્થો પાણીમાં વહી ગયો : મીઠાંના ક્યારાઓ સંપૂર્ણ નષ્ટ થતાં નવેસરથી માટીકામ કરી ક્યારા બનાવવા 6 માસનો સમય લાગશે : સીઝનનું વધુમાં વધુ 40 ટકા ઉત્પાદન થવાની શક્યતા
મોરબી, : માળિયામાં ભારે વરસાદ અને ડેમોમાંથી પાણી છોડવાને લીધે પુરની સ્થિતિ સર્જાઈ હતી. ડેમમાંથી છોડવામાં આવેલ પાણી માળિયા પંથકમાં આવેલા અનેક મીઠાના અગરોમાં ફરી વળ્યું છે.જેથી કાચા અને પાકા માલને નુકશાન થયું છે. મીઠાના એકમોમાં પાણી ઘુસી ગયા છે. જેથી કારખાનામાં પાળા તૂટી ગયા છે.અને કારખાનામાં કીચડ ભરાઈ ગયા છે. મીઠું ઉત્પાદન કરતા ક્યારાઓમાં વરસાદી અને ડેમના પાણી ઘુસી ગયા છે.જેથી મીઠાની તરીનું ધોવાણ થયું છે. અતિ ભારે વરસાદને પગલે માળિયાના મીઠા ઉદ્યોગને ફટકો પડયો છે.માળિયામાં આશરે 700 થી 800 મીઠાના મોટા, મધ્યમ, તથા નાનાએકમો આવેલ છે.ગુજરાત ભારતનું મીઠા ઉત્પાદનનું હબ છે.સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય મીઠાનું 76 ટકા જેટલું ઉત્પાદન કરે છે.જેમાં માળિયા (મી.) તાલુકાનો સિંહ ફાળો છે.
માળિયામાં ભારે વરસાદ અને ડેમોમાંથી પાણી છોડવાને લીધે પુરની સ્થિતિ સર્જાઈ હતી. ડેમમાંથી છોડવામાં આવેલ પાણી મીઠાના અગરોમાં ફરી વળ્યું છે.કોઈપણ મીઠું પકવતા એકમ માટે મીઠું પકવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળું પાણી (બ્રાઇન) સૌથી મહત્વનું હોય છે. જે ભારે જહેમત અને લાંબો સમય લેતી પ્રક્રિયા છે.અગરોમાં પાણીના કરેલ સંગ્રહ સાથે વરસાદી અને ડેમનું પાણી ભળી જતા એકમનો બ્રાઇન સંપૂર્ણ રીતે નષ્ટ પામેલ છે.જેને ગોઠવવામાં છ માસ કરતા વધુ સમય લાગશે.મીઠાના એકમોને સમારકામ કરવા માટે ઓછામાં ઓછો છ માસનો સમયગાળો લાગશે.અને ડેમમાંથી છોડવામાં આવેલ નીરના રેકોર્ડ બ્રેક પ્રવાહને કારણે સંપૂર્ણ ક્યારાઓ નષ્ટ થયા છે જે માટે નવેસરથી માટી કામ કરવું પડશે.જો હવે વધુ વરસાદ કે કોઈ આફત ના આવે તો આવનારી સીઝનનું વધુમાં વધુ 40 ટકા ઉત્પાદન થવાની શક્યતા છે.મીઠા ઉદ્યોગને ભારે વરસાદ અને ડેમના પાણીને કારણે વ્યાપક નુકશાન થયું છે.એકમોએ સંગ્રહ કરેલ 30 થી 35 ટકા જથ્થો ધોવાઈ ગયો છે મીઠું ધોવા માટે વોશરી પણ પાણીમાં ડૂબી ગઈ છે.વોશરીને સંબંધિત મશીનરીનું પણ નુકશાન થયું છે.સદનસીબે કોઈ જાનહાની થઇ નથી.જે મીઠા ઉધોગ માટે રાહતની બાબત કહી શકાય.