આરોપી છાવરવા બદલ હે.કો. બાદ ભરતનગરના તત્કાલિન પીઆઈ સસ્પેન્ડ
- ભરતનગર પોલીસે ધમકીની ફરિયાદમાં આરોપીને છાવર્યાનો આક્ષેપ થયો હતો
- આક્ષેપના પગલે જિલ્લા પોલીસ વડાએ તપાસ શરૂ કરી હતીઃ ફરિયાદમાં તથ્ય જણાતાં 20 દિવસ પૂર્વે પીઆઈને લીવ રિઝર્વમાં મુકાયા હતા, હવે સસ્પેન્શનનો ઓર્ડર કર્યો
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ગત ૯ નવેમ્બર નાં રોજ ભાવનગરના ટોપ થ્રી સર્કલ પાસે આવેલ શિવમ અમૃત-૦૧ માં રહેતા મૂળ બોરડી તા. શિહોર ના વતની અને તળાજા ખાતે સી.આર.સી તરીકે નોકરી કરતા શિક્ષકના પત્ની તુલસીબેન તળાજા રોડ પર આવેલ કાચના મંદિર સામે કસ્તુરબા સોસાયટીમાં કિશ્વા લાયબ્રેરી કેમ્પસ ચલાવતા હોય, આ સ્થળે વિદ્યાર્થીઓની કવર-જવર થતી હોય તે બાબત સોસાયટીમાં રહેતા બ્રિજરાજસિંહ ચુડાસમાને પસંદ ન હોય ગઈકાલે બ્રીજરાજસીંહ ચુડાસમાએ લાઇબ્રેરીમાં આવીને ગાળો બોલી ત્યા હાજર રવિભાઈ અને ચેતનભાઇને માર મારી આ લાઈબ્રેરી અને હોસ્ટેલ બધું બંધ કરી દેજો નહિતર આવીને તાળા મારી દઈશ અને બધું તોડી નાખીશ તેવી ધમકી આપી હતી. આ ઘટના બાદ ત્રણ અજાણ્યા વ્યક્તિઓ ધોકા અને પાઇપ ધારણ કરી કેમ્પસમાં આવ્યા હતા. અને ધમકી આપી બહારની લાઈટ અને બેનરના સ્ટેન્ડમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું. આ ઉપરાંત અન્ય એક શખ્સે પણ નિલેશભાઈ મોરીને ફોન કરીને ધમકી આપતા શિક્ષકે તમામ વિરુદ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.આ ગુનામાં પકડવાના આવેલા આરોપીને સુવિધા આપી અને તપાસમાં બેદરકારી દાખવવા બદલ અને આરોપીને છાવરવા બદલ હેડ કોન્સ્ટેબલ અશોક રાજેન્દ્રભાઈ ઉલવાને એસપીએ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.તેમજ ભરતનગર પોલીસ મથકના પીઆઈ આર એમ ઠાકોરને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા હતા.તદુપરાંત વીસ દિવસ બાદ લીવ રિઝર્વમાં રહેલા પીઆઈ આર એમ ઠાકોરને આજ પ્રકરણમાં સસ્પેન્ડ કર્યા હોવાનું જિલ્લા પોલીસ વડા ડો હર્ષદ પટેલએ જણાવ્યું હતું.