ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર, રાજકોટમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે હર્ષ સંઘવીની બેઠક

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર, રાજકોટમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે હર્ષ સંઘવીની બેઠક 1 - image


Lok Sabha Elections 2024: રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ક્ષત્રિયોનો ગુસ્સો શાંત કરવા માટે ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠકો કરવામાં આવી રહી છે. ત્યારે આજે (21મી એપ્રિલ) રાજકોટમાં એક ખાનગી હોટલમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

સૂત્રોના જણાવ્યાનુસાર, રાજકોટમાં ખાનગી હોટલમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ બેઠકમાં પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના ગુસ્સાને શાંત કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ક્ષત્રિય સમાજના મતનું નુકસાન ન થાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ભાજપ આગેવાનો સામે ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણી ભાજપ પક્ષ માટે પણ ચિંતાનો વિષય બની છે. ક્ષત્રિય સમાજના આંદોલનનો પાર્ટ-2 શરૂ થઈ ચૂક્યો છે. નવી રણનીતિ અનુસાર, ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે હવે સાબરકાંઠામાં ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. અહીં ભાજપના નેતાઓ અને ક્ષત્રિયો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. તો ભાજપના ધારાસભ્ય રમણ વોરાને પણ ધક્કે ચડાવાયા હતા.

ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર, રાજકોટમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે હર્ષ સંઘવીની બેઠક 2 - image


Google NewsGoogle News