કુંભમેળામાં જતાં ગુજરાતી શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત, 1 મહિલાનું મોત, 7 ઇજાગ્રસ્ત
Gujarati devotees Accident : પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સ્નાન કરવા માટે દેશ-વિદેશ સહીત ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ત્યારે નવસારીથી કાર લઇને મહાકુંભમાં જઇ રહેલા શ્રદ્ધાળુઓની કારને ચિત્રકૂટ નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે 7 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ઉત્તર પ્રદેશ પોલીસ હાલ આ અકસ્માત અંગે તપાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીની જલારામનગર સોસાયટીમાં રહેલા સ્વાતિ પટેલ પોતાના સગા-સંબંધીઓ સાથે મહાકુંભમાં ભાગ લેવા માટે નીકળ્યા હતા. ત્યારે રવિવારે રાત્રે ચિત્રકૂટ પાસે અકસ્માત સર્જાયો હતો. પાછળથી આવી રહેલી અન્ય કાર તેમની કારને ઓવરટેક કરવા જતાં ટક્કર વાગી હતી. આ અકસ્માતમાં સ્વાતિબેન પટેલને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે આ અકસ્માતમાં અન્ય 7 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મહાકુંભમાં સ્નાન કરવા નીકળેલા સ્વાતિબેન પટેલની ઇચ્છા અધૂરી રહી ગઇ હતી. મૃતક સ્વાતિબેન પટેલના મૃતદેહને નવસારી લાવવામાં આવ્યો હતો અને તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમજ આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકો સુરક્ષિત હોવાથી તમામ લોકો ઘરે પરત ફર્યા છે.
મહાકુંભમાં નાસભાગમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મોત
બુધવારે મહાકુંભના સેક્ટર-4માં થયેલી નાસભાગમાં 30 લોકોના મોત થયા હતા. જેમાંથી એક ગુજરાતી શ્રદ્ધાળુ છે. મહેસાણા જિલ્લાના કડીના મહેશભાઈ સોમાભાઈ પટેલનું મોત થયું છે. જેઓ ચાર મિત્રો સાથે મહાકુંભ ગયા હતા.