વડોદરા હોડી દુર્ઘટના: PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, રાજ્ય સરકાર 4 લાખ, કેન્દ્ર 2 લાખ વળતર આપશે

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
વડોદરા હોડી દુર્ઘટના: PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, રાજ્ય સરકાર 4 લાખ, કેન્દ્ર 2 લાખ વળતર આપશે 1 - image


Vadodara Boat Accident : વડોદરામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલની પિકનિક દરમિયાન હરણી તળાવમાં સર્જાયેલી હોનારતમાં અત્યાર સુધી 13 વિદ્યાર્થી અને બે શિક્ષિકા સહિત કુલ 15ના મોત થયા છે. આ દુર્ઘટનાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકો માટે પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા એક ટ્વિટ કરીને જાહેરાત કરાઈ હતી કે હરણી તળાવ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને રૂ.2 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50 હજારનું વળતર અપાશે. બીજી તરફ, ગુજરાત સરકારે મૃતકના પરિવારજનોને રૂ. ચાર લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.

મૃતક વિદ્યાર્થીઓ

  • સકીના શેખ
  • મુઆવજા શેખ
  • આયત મન્સૂરી
  • અયાન મોહમ્મદ ગાંધી
  • રેહાન ખલીફા
  • વિશ્વા નિઝામ
  • જુહાબિયા સુબેદાર
  • આયેશા ખલીફા 
  • નેન્સી માછી
  • હેત્વી શાહ 
  • રોશની સૂરવે

મૃતક શિક્ષિકાઓ 

  • છાયા પટેલ
  • ફાલ્ગુની સુરતી 


મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વડોદરા જવા રવાના

વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં કુલ 13 વિદ્યાર્થી અને બે શિક્ષક સહિત કુલ 15 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અભિયાન ચાલી રહ્યું છે. બચી ગયેલા અન્ય વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના સ્થળે 10 એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે અને ત્યાં પણ બચાવની કામગીરી ચાલુ છે. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવાના રવાના છે.

82 વિદ્યાર્થી હરણી તળાવ ફરવા આવ્યા હતા 

મળતી માહિતી અનુસાર, વડોદરાની ન્યૂ સન રાઈઝ સ્કૂલના 82 વિદ્યાર્થીઓ હરણી તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાંથી 23 વિદ્યાર્થી અને ચાર શિક્ષક નૌકાસવારી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક હોડીએ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા હતા. ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર ટીમ દોડી આવી હતી. હાલ બાળકોને બચાવવાનું અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું 

આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'X' પર સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે ‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.’

ક્ષમતા કરતા વધુ લોકોને હોડીમાં બેસાડ્યા

આ ઘટના અંગે હાજર રહેલા શિક્ષકોએ કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડના કોન્ટ્રાક્ટર પર આક્ષેપો કર્યા હતા કે ‘હોડીની ક્ષમતા દસથી 12 બાળકની હતી. આમ છતાં તેમણે 25થી વધુ બાળકો એક જ હોડીમાં બેસાડ્યા હતા અને વજન વધી જતા આ અકસ્માત સર્જાયો હતો.’ આ અંગે કોન્ટ્રાક્ટરે જણાવ્યું છે કે, ‘અમે વધુ બાળકો નહોતા બેસાડ્યા. આ ઉપરાંત તેમને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા હતા.’ 

જવાબદારો સામે પગલાં ભરાશે

આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે ‘હોડી પલટી ગયાની જાણકારી મેળવાઈ રહી છે. આ બનાવ કેવી રીતે બન્યો તેની સંપૂર્ણ તપાસ પછી જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરાશે.’

હોડી સેવઉસળની લારીવાળો ચલાવતો હતો

હરણી તળાવમાં હોડી ચલાવવાનો કોન્ટ્રાક્ટ કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડના પરેશ શાહ નામની વ્યક્તિ પાસે હોવાની વિગતો સામે આવી છે. શિક્ષકો-વિદ્યાર્થીઓ ભરેલી હોડી ડુબી જવાની ઘટનામાં સેવઉસળની લારીવાળો હોડી ચલાવી રહ્યો હોવાના પણ અહેવાલો મળ્યા છે.


Google NewsGoogle News