વડોદરા: કારેલીબાગ અકસ્માત કેસ બાદ ઊંઘમાંથી જાગી પોલીસ, ડ્રિંક એન્ડ ડ્રાઇવના 23 કેસ નોંધ્યા
Vadodara Accident: ગુજરાતમાં વારંવાર તંત્રની નિષ્ક્રિય કામગીરીને વખોડ્યા બાદ પણ જાણે આ નંભોર તંત્રની આદત પડી ગઈ છે કે, પાણી આવ્યા બાદ જ પાળ બાંધવા જઇશું. સુરતમાં શ્રેયસ હોસ્પિટલમાં આગ હોય, મોરબીના પૂલની દુર્ઘટના હોય, કાંકરિયામાં રાઇડ્સનો અકસ્માત હોય, તથ્ય અને વિસ્મય જેવા નબીરાઓ દ્વારા નિર્દોષોને કચડી નાંખવામાં આવ્યા હોય કે પછી વડોદરામાં બોટ દુર્ઘટનાના કારણે નાનાં ભૂલકાંઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય. દર વખતે દુર્ઘટનાઓ ઘટી જાય, લાશોની સંખ્યા ગણાઈ જાય અને કહેવાતી રાહત રકમની ફાળવણી બાદ તંત્ર સફાળા જાગી જાય છે. રાજ્યમાં કોઈપણ મોટી દુર્ઘટના બાદ તંત્રને પણ ભાન આવી જાય છે કે, રાજ્યમાં કાયદાનું ભાન કેવી રીતે કરાવવું? વડોદરામાં પણ આ જ ચીલો ફરી ચિતરાઈ રહ્યો છે. વડોદરાના કારેલીબાગમાં પૂરપાટ ઝડપે આવતી કારે 8 લોકોને કચડી નાંખ્યા પછી પોલીસ સફાળા જાગી છે અને ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસમાં કડકાઈ બતાવવાનું શરૂ કર્યું છે.
દુર્ઘટના બાદ સફાળા જાગ્યું તંત્ર
કોઈપણ મોટી દુર્ઘટના બાદ તંત્ર એકાએક દોડતું થાય છે, તેવી જ રીતે વડોદરામાં કાર અકસ્માત બાદ પોલીસ તંત્ર સફાળા જાગ્યું છે. સમગ્ર ઘટનાને લઈને નગરજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા હવે એકાએક નાકાબંધી કરવાનું શરૂ કરી દેવાયું છે. પોલીસ દ્વારા વાહન ચાલકોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ અકસ્માત બાદ પોલીસે 1222 વાહનોની તપાસ કરી છે અને ડ્રિંક એન્ડ ડ્રાઇવના 23 કેસ નોંધ્યા છે. આ સિવાય 75 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલું રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ વડોદરા બાદ દમણમાં રફ્તારનો કહેર, કાર ચાલકે બે વાહનોને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત
8 લોકોને અડફેટે લીધાં
હોળીની રાત્રે શહેરના કારેલીબાગ આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે 8 લોકોને અડફેટે લીધાં હતાં. હાલ પોલીસે મૂળ વારાણસીના રહેવાસી અને અત્યારે એમ.એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર કારચાલક રક્ષિત ચોરસીયા અને ભાયલીના કાર માલિક રાજેશ ચૌહાણના પુત્ર પ્રિન્સુને ઝડપી પાડ્યા છે.