અનોખો વિરોધઃ નોકરી ન મળતા નર્મદાના અસરગ્રસ્તો ટાવર પર ચઢી ગયા
Gujarat Protest: ગુજરાતના નર્મદાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઑફ યુનિટી અને નર્મદા ડેમ વચ્ચે આવેલા ગોરા ગામ પાસે નર્મદાના ત્રણ અસરગ્રસ્તો ટાવર ઉપર ચઢી ગયા હતાં. અસરગ્રસ્તોનું કહેવું છે કે, સ્ટેચ્યુ ઑફ યુનિટિ બનાવતા પહેલાં અમને સરકારે કટ ઑફ ડેટમાં નોકરી આપવાનું કહ્યું હતું પરંતુ, હજુ સુધી નોકરી આપી નથી. તેથી અમે વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા જોખમમાં મુકતા નાવિકો : નિયમોનો ભંગ
શું હતી ઘટના?
નર્મદાના એકતાનગર ખાતે આવેલા ગોરા ગામ પાસે નર્મદાના અસરગ્રસ્તોને નોકરી આપવાની સરકારે વાત કરી હતી. જોકે, હજુ સુધી નોકરી ન મળતા પાણસોલી વસાહતના પ્રવીણ રણછોડ, સીમડિયા વસાહકના મહેશભાઈ અને બરોલી વસાહતના બાલુભાઈ ટાવર પર ચઢીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ લોકોનું કહેવું છે, 19 ગામોના અસરગ્રસ્તોને ગુજરાત સરકાર કટ-ઑફ ડેટમાં નોકરીનો લાભ નથી આપતી. અમને ગુજરાતની બદલે મધ્ય પ્રદેશમાં નોકરી આપવામાં આવી છે. વારંવાર અમે રાજ્ય સરકાર સાથે બેઠકો કરી પરંતુ, અમને ફક્ત લાભ આપવાનું આશ્વાસન આપી છેતરવામાં આવી રહ્યા છે. હવે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ટાવર પરથી નીચે નહીં ઉતરીએ.
જીવના જોખમે વિરોધ પ્રદર્શન
નોંધનીય છે કે, હાલ ગુજરાત સહિત દેશભરમાં ગરમી પોતાનો કહેર વર્તાવી રહી છે. એવામાં આ ત્રણેય અસરગ્રસ્તો કોઈ પાણી કે ખોરાક વિના ટાવર પર ચઢ્યા છે. આ સિવાય ધોમધકતા તાપમાં લોખંડના ટાવરને પકડીને ઊભું રહેવું પણ મુશ્કેલ છે. ભોજન-પાણીની ઉણપ અથવા જો કોઈ અકસ્માત થયો તો આ લોકોનો જીવ પણ જોખમમાં મૂકાઈ શકે છે.