ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, હવે ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર કરશે
Gujarat Elections : ગુજરાતમાં આગામી 16 ફેબ્રુઆરીએ 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગર પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે, ત્યારે હવે રાજકીય પક્ષે જાહેરમાં ચૂંટણી પ્રચાર કરી શકશે નહી. જો કે, ઉમેદવારો ડોર ટુ ડોર જઈને મતદાન માટે અપીલ કરી શકશે. જ્યારે મતદાન પૂર્ણ થયા બાદ આગામી 18 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી 16 ફેબ્રુઆરીથી શરૂ
રાજ્યમાં 16 ફેબ્રુઆરીથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે. જેમાં સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં મતદાન થશે. મતદારો ઓળખ માટે ચૂંટણી કાર્ડ ઉપરાંત અન્ય 12 વૈકલ્પિક દસ્તાવેજોથી પણ મતદાન કરી શકાશે. રાજ્ય ચૂંટણી આયોગના કમિશ્નર ડૉ. એસ. મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જૂનાગઢ મહાનગર પાલિકા, 66 નગર પાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે. આ સિવાય અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગર પાલિકાની 3 ખાલી પડેલ બેઠકની ચૂંટણી યોજાશે. ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર નથી કરાઈ. આ સિવાય ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો. બોરસદ, સોજીત્રા જેમાં OBCની ભલામણ મુજબ હજી રિઝર્વેશન નક્કી થયું નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 19 લાખ જેટલા મતદારો મત આપશે.
કુલ 5084 ઉમેદવારો હરિફાઇમાં
સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે તા.01-02-2025 સુધીમાં કુલ 7036 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જેમાંથી 1261 અમાન્ય અને 5775 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા હતા. જ્યારે 478 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા. કુલ 213 બેઠકો બિનહરીફ થઈ. આમ કુલ 5084 ઉમેદવારો હરિફાઇમાં છે. જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડોની કુલ 60 બેઠકોમાંથી 8 બેઠકો સંપૂર્ણ બિનહરીફ છે, જ્યારે બાકી રહેલી બેઠકો માટે કુલ 157 ઉમેદવારો વચ્ચે હરીફાઈમાં ચૂંટણી યોજાશે. જ્યારે સામાન્ય ચૂંટણી હેઠળની 66 નગરપાલિકાઓના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ છે. આમ કુલ 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ છે, અને 1677 બેઠકો પર 4374 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે. જ્યારે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.18(પછાતવર્ગ), અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નં.7 (સામાન્ય), ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.3 (સામાન્ય)ની પેટા ચૂંટણી યોજાશે. જેમાં કુલ 17 ઉમેદવારો વચ્ચે હરીફાઈ રહેશે.
ગ્રામ પંચાયતની અટવાયેલી ચૂંટણી બાબતે ડૉ મુરલી ક્રિષ્નાએ કહ્યું કે, 'ઝવેરી કમિશને રાજ્ય સરકારને રિપોર્ટ રજૂ કર્યો હતો. સરકારે રાજ્ય ચૂંટણી પંચને દોઢ મહિના અગાઉ જ રિપોર્ટ આપ્યો હતો જેની કાર્યવાહી ચાલુ છે.' મળતી માહિતી મુજબ, રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગર પાલિકા અને 539 નવી ગ્રામ પંચાયતો સાથે કુલ 4765ની ચૂંટણીઓ થઈ શકી નથી.