ગરીબોના દબાણો દૂર કરતી ગુજરાત સરકાર ભાડા પટ્ટાવાળા પર મહેરબાન, મહેસુલ વિભાગે જાહેર કર્યો ઠરાવ
Revenue Department News : ગુજરાત સરકાર દ્વારા એકબાજુ પૂરજોશમાં સરકારી જમીનો પર રહેલા ગરીબોના ઝુંપડા તોડવાની બુલડોઝર યોજના ચાલી રહી છે અને બીજી બાજુ રાજ્ય સરકારના કમાઉ દીકરા મહેસૂલ વિભાગે હવે ભાડાપટ્ટાની જમીનને કાયમી કરશે. આ ઠરાવ મુજબ સીટી સર્વે વિસ્તારના લાંબા અને ટુંકાગાળા માટે ભાડાપટ્ટે આપેલ જમીન માટે હાલના કાયદેસરના ધારક પાસેથી નીચે મુજબ રાહત કિંમત વસુલ લઈ જમીનનો કાયમી નિકાલ કરવાનો રહેશે.
મહેસૂલ વિભાગના 6 જૂન 2023ના સંકલિત ઠરાવના ક્રમાંક: 18 અને 19 લાંબાગાળા તથા ટુંકાગાળા માટે ભાડાપટ્ટે આપવામાં આવતી સરકારી પડતર/ખરાબાની જમીન અંગેની જોગવાઈઓમાં સુધારાઓ કરવા બાબત ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ ગાંધીનગર દ્વારા 21 એપ્રિલ 2025ના રોજ અમદાવાદ, સુરત અને ભરૂચના સીટી સર્વે વિસ્તારોમાં લાંબાગાળા અને ટુંકાગાળા માટે પટ્ટેથી આપવામાં આવતી જમીનોનો પટ્ટો તાજો કરવા અથવા નિકાલ કરવા ઠરાવ કારવામાં આવ્યો છે.
આ ઠરાવ મુજબ હવે અમદાવાદ, સુરત અને ભરૂચના સીટી સર્વે વિસ્તારોમાં લાંબાગાળા અને ટુંકાગાળા માટે પટ્ટેથી આપવામાં આવતી જમીનોનો પટ્ટો તાજો કરવા અથવા નિકાલ કરવા આગાઉના ઠરાવમાં જોગવાઈઓના અર્થઘટન તથા તેના અમલીકરણમાં મુશ્કેલી પ્રવર્તતી હતી. જેથી આ નવા સંકલિત ઠરાવની જોગવાઈઓ બાબતે વિગતવાર અભ્યાસ કરી તેમાં જરૂરી સૂચનો અને સુધારા માટે ભલામણ આપવામાં આવી છે, જેમાં ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી હતી.
આ સમિતિએ જોગવાઈઓમાં સુધારો કરવા સારું વિવિધ પાસાઓનો વિગતવાર અભ્યાસ કરી તથા તેની યોગ્ય સમીક્ષા કરીને સંપુર્ણ અહેવાલ 1 જાન્યુઆરી 2025ના રોજ સરકારને સુપ્રત કર્યો હતો. જેમાં આવેલી ભલામણો અન્વયે લાંબાગાળા તથા ટુંકાગાળા માટે ભાડાપટ્ટે આપવામાં આવેલ સરકારી પડતર/ખરાબાની જમીન અંગેની જોગવાઈઓમાં સુધારાઓ કરવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.
આ સુધારામાં ૩૦ વર્ષ કે તેથી વધુના સમયગાળા માટે ભાડાપટ્ટે અપાયેલી જમીનમાં જેમાં તબદીલીપાત્ર હોય તથા પટ્ટાની અધિકૃત તબદીલી થઇ હોય તો અને જાહેર હરાજીથી એક કિંમતે આપેલ હોય તેમાં કિંમત પ્રવર્તમાન જંત્રી કિંમતના 15% જ્યારે માત્ર ભાડેથી જમીન આપેલી હોય તેવા કેસોમાં પ્રવર્તમાન જંત્રી કિંમતના 30% અને પટ્ટાના અનઅધિકૃતમાં તબદીલમાં પ્રવર્તમાન જંત્રી કિંમતના 25% (માત્ર ભાડેથી જમીન આપેલી હોય તેવા કેસોમાં જંત્રી કિંમતના 50% પ્રવર્તમાન )લેવાની રહેશે.
આ ઉપરાંત 7 વર્ષથી વધુ અને ૩૦ વર્ષથી ઓછા સમયગાળા માટે ભાડાપટ્ટે અપાયેલી જમીનમાં અનધિકૃત તબદીલીમાં જાહેર હરાજીથી/એક કિંમત લઇને(ઉચ્ચક કિંમતે) ભાડાપટ્ટે આપેલ હોય તેવા કેસમાં પ્રવર્તમાન જંત્રી કિંમતના 20% અને માત્ર ભાડામાં 40% અને અનધિકૃત તબદીલીમાં જાહેર હરાજીથી/એક કિંમત લઇને(ઉચ્ચક કિંમતે) ભાડાપટ્ટે આપેલી હોય તેવા કેસમાં પ્રવર્તમાન જંત્રીકિંમતના ૩૦% અને માત્ર ભાડેથી આપેલ જમીન હોય તેવા કેસોમાં પ્રવર્તમાન જંત્રી કિંમતના 60% આપવાની રહેશે.
આ ઠરાવ મુજબ સીટી સર્વે વિસ્તારમાં વખતોવખતની જોગવાઈ/નીતિ હેઠળ ભાડાપટ્ટે અપાયેલી જમીનોને આ યોજના લાગુ પડશે અને બાકી અન્ય કેસો જેવા કે, ફળઝાડ, કપાસ અને અન્ય વૃક્ષના ઉછેર માટે ભાડાપટ્ટે જમીન ફાળવણી, નવસાધ્ય કરવા આપેલ જમીન, ઝીંગા ઉછેર માટે ભાડાપટ્ટે જમીન ફાળવણી, મીઠા ઉદ્યોગ માટે ભાડાપટ્ટે જમીન ફાળવણી, રમતગમતના મેદાન માટે ભાડાપટ્ટે જમીન ફાળવણી, સોલાર, વીન્ડ, સોલાર-વીન્ડ હાઈબ્રીડ યોજના માટે ભાડાપટ્ટે જમીન ફાળવણી, ગ્રીન હાઈડ્રોજન માટે જમીન ફાળવણી જેવા કેસોમાં આ યોજના લાગુ પડશે નહી તથા મહેસૂલ વિભાગની પ્રવર્તમાન જોગવાઈઓ યથાવત રહેશે.