ગુજરાત સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં કર્યા ફેરફાર, સેલ્ફ ડિક્લેરેશન માન્ય ગણાશે
Farmer News : ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને રાજ્ય સરકાર દ્વારા સંતોષવામાં આવી છે. રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
શું હતી જોગવાઈ
હાલની જોગવાઈ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે 7-12ના ઉતારામાં એક કરતાં વધારે સહ માલિકના નામ હોય તો નોટરાઇઝ્ડ સ્ટેમ્પ પેપર પર સહ માલિકનું સંમતિ પત્રક મેળવવાનું રહે છે. જેના કારણે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં વધુ વારસદારો હોવાથી આંતરિક વહેંચણી કરેલી હોય પરંતુ મહેસૂલી નોંધ ન હોવાને કારણે ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે મુશ્કેલીઓ પડતી હતી.
સેલ્ફ ડિક્લેરેશન માન્ય ગણાશે
ખેડૂતો તેમજ આદિવાસી વિસ્તારના ધારાસભ્યઓની રજૂઆતોને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા આ જોગવાઈમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે મુજબ હવેથી સહ માલિકના સંમતિ પત્રકને બદલે હવેથી અરજદાર દ્વારા નોટરાઇઝ્ડ સ્ટેમ્પ પેપર પર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રહેશે.
કયા ડૉક્યુમેન્ટ હોવા જરૂરી
આ ઉપરાંત નિયમોમાં એક નવો સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ 7-12ના ઉતારામાં એક કરતા વધારે સહ માલિકના નામ હોય તો દરેક સહ માલિકને તે સર્વે નંબર/જમીનના ક્ષેત્રફળને ધ્યાને લીધા વગર વીજ જોડાણ આપવામાં આવશે. વીજ જોડાણ મેળવવા માટે અરજદારનું નામ 7-12 ઉતારામાં નોંધાયેલું હોવું જોઈએ, પાણીનો સ્ત્રોત/ કુવો/ બોર અલગ હોવો જોઈએ. અરજી સાથે અરજદાર દ્વારા સંપૂર્ણ જમીનનો સહભાગીદારોની અલગ સીમાઓ તથા હદબંધી દર્શાવતો સ્પષ્ટ નકશો રજૂ કરવાનો રહેશે. સહ માલિકો પોતાના નામે એક સર્વે નંબરમાં માત્ર એક જ વીજ જોડાણ મેળવવા પાત્ર રહેશે. આમ, ધારાસભ્યો તેમજ ખેડૂતોની રજૂઆતોને ગ્રાહ્ય રાખતા રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.