ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર: સિંચાઈ માટે એક મહિનો વહેલું પાણી મળશે, 13 લાખ ધરતીપુત્રોને મળશે લાભ
Good News For Gujarat Farmer: નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રીએ આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું એટલે કે 15 મે, 2025થી આપવાનો નિર્ણય કર્યો છે.
સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે 15 જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે. ખેડૂતોને જો સિંચાઈ માટે વહેલું પાણી આપવામાં આવે તો તેઓ વધુ ઉત્પાદન મેળવીને આર્થિક રીતે વધુ સક્ષમ બની શકે. કિસાન હિતકારી નિર્ણયને પગલે ખેડૂતો ખાસ કરીને કપાસ જેવા પાકોનું આગોતરું આયોજન કરી શકશે. એટલું જ નહીં, ઉત્પાદન વધારા માટે આગોતરી વાવણી પણ કરી શકશે.
આ પણ વાંચો: ગુજરાતના ધારાસભ્યોને હવે મળશે 2.50 કરોડની ગ્રાન્ટ, 50 લાખ રૂપિયા જળ સંચય કામમાં વપરાશે
આ ખેડૂત હિતકારી નિર્ણયથી સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારના આશરે 13 લાખ ધરતીપુત્રોને સિંચાઈ સુવિધાનો સીધો લાભ મળશે. પાક વહેલો થવાથી તેમને બજારમાં સારી ઉત્પાદન કિંમત મળશે તેમજ વધુ ઉત્પાદન થતાં ખેડૂતોની આવકમાં પણ વૃદ્ધિ થશે.