6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ અને હત્યાનો કેસ, નરાધમ આચાર્ય સસ્પેન્ડ, કોઈ વકીલ નહીં લડે કેસ

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ અને હત્યાનો કેસ, નરાધમ આચાર્ય સસ્પેન્ડ, કોઈ વકીલ નહીં લડે કેસ 1 - image


Dahod School Principal murdered 6 year old Student : દાહોદમાં બે દિવસ પહેલાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પહેલાં ધોરણમાં ભણતી છ વર્ષની બાળકીનો મૃતદેહ શાળામાંથી મળી આવતાં હાહાકાર મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી, જેમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, શાળાના આચાર્ય ગોવિંદ નટે બાળકી સાથે બળાત્કારનો પ્રયાસ બાદ હત્યા કરી હતી. હાલ, તોરણી શાળાના આચાર્ય ગોવિંદ નટને શિક્ષણ વિભાગે સસ્પેન્ડ કર્યા છે. તો બીજી તરફ, લીમખેડા બાર એસોસિએશને હેવાન આચાર્યનો કેસ કોઈ વકીલ નહીં લડે તેવો નિર્ણય લીધો છે. જોકે, પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

બળાત્કારનો પ્રયાસ કરી શાળામાં જ દાટી દીધી

પોલીસ દ્વારા તપાસમાં જાણવા મળ્યું કે, શાળામાં ગોવિંદ નટ નામના આચાર્યે બાળકીની હત્યા કરી હતી. આચાર્ય ગોવિંદ નટે શાળાના સમય પહેલાં સવારે તેની માતા પાસેથી લગભગ 10 વાગ્યાની આસપાસ બાળકીને લઈને ગાડીમાં બેસાડી હતી. બાદમાં ગાડીમાં જ તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ જ્યારે ત્યાં બૂમાબૂમ કરી તો તે ચીસો ન પાડે તે માટે બે મિનિટ સુધી તેનું ગળું દબાવ્યું, જેનાથી બાળકીનું ગાડીમાં જ મોત નીપજ્યું હતું. આખો દિવસ બાળકીને ગાડીમાં જ રાખવામાં આવી. ગાડીમાં કાળા કાચ હોવાથી ગાડીની અંદર શું છે તે કોઈ જોઈ ન શકે તેથી ગાડીને શાળામાં જ લાવીને પાર્ક કરી દેવાઈ હતી. શાળા છૂટ્યા બાદ આચાર્ય દ્વારા તેને શાળાની અંદર જ ખાડો ખોદીને દફનાવવામાં આવી અને પોલીસને ખોટા રસ્તે દોરવા બાળકીના ચંપલ તેના ક્લાસ રૂમની બહાર મુકી દેવાયા હતાં. પોલીસ સામે ગોવિંદ નટે પોતાનો ગુનો કબૂલી લીધો છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે. 

આ પણ વાંચોઃ 20 વર્ષની પરીણીતાએ ગળા ફાંસો ખાઈ રહસ્યમય આપઘાત કર્યો

શું હતો સમગ્ર મામલો? 

દાહોદ જિલ્લાના પીપળીયા ગામની નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં આ જ વર્ષે વિદ્યાર્થિનીએ ધોરણ 1 માં એડમિશન લીધું હતું. નિયતક્રમ મુજબ 19 સપ્ટેમ્બર (ગુરૂવાર) સવારે 10 વાગ્યે વિદ્યાર્થિની શાળાએ જવા નિકળી હતી. પરંતુ શાળાનો સમય પૂરો થઇ ગયો હોવા છતાં ઘરે પરત ફરી ન હતી. જેથી પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો અને શોધખોળ શરૂ કરી દીધી હતી. 

વિદ્યાર્થિનીના પરિવારજનો તપાસ કરવા માટે તોયણી પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સ્કૂલના મુખ્ય દરવાજાને તાળું લગાવેલું હોવાથી તેઓ દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતાં. જ્યાં તપાસ દરમિયાન શાળામાંથી વિદ્યાર્થિની લાશ મળી આવી હતી. દીકરીનો મૃતદેહ જોઇને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. ત્યારબાદ પરિવારજનો વિદ્યાર્થિનીને લઇને દવાખાને દોડ્યા હતા, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કરી હતી. 

આ પણ વાંચોઃ વેમાલીમાં રહેતી 30 વર્ષની મહિલા અટલ બ્રિજ પરથી પટકાતા મોત

આ ઘટનાની જાણ થતાં દાહોદ પોલીસની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ હતી. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, શાળાના આચાર્ય દ્વારા જ વિદ્યાર્થિનીની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે તપાસ માટે 10 ટીમો બનાવી હતી. તપાસ દરમિયાન પોલીસે શિક્ષકોના નિવેદનો પણ લેવાયા હતાં. પોલીસે આચાર્ય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 





Google NewsGoogle News