કોંગ્રેસ અને ભાજપના આ દિગ્ગજો લોકસભા ચૂંટણી નહીં લડે, ચાર મોટા નેતાએ પોતે કરી સ્પષ્ટતા

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસ અને ભાજપના આ દિગ્ગજો લોકસભા ચૂંટણી નહીં લડે, ચાર મોટા નેતાએ પોતે કરી સ્પષ્ટતા 1 - image

Gujarat Politics : લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ દેશભરના રાજકારણમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે. વિવિધ પક્ષો ઉમેદવારોના નામ જાહેર કરવા ઉપરાંત નારાજ નેતાઓને મનાવવાનું, ગઠબંધનનું ગણિત સેટ કરવાનું અને જૂના પક્ષો સાથે ફરી મિત્રતા કરી પોતાની તાકાત વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના ઘણા ધારાસભ્યો અને નેતાઓએ તાજેતરમાં જ પક્ષ પલટો કરી લીધો છે. પરંતુ ગુજરાતના કેટલાક એવા પણ નેતાઓ છે જેઓ આગામી લોકસભા ચૂંટણી લડવા નથી માંગતા. જેઓ ચૂંટણી ન લડાવવા અંગે હાઈકમાન્ડને વિનંતી પણ કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ એક એવી પણ ચર્ચા છે કે કેટલાક નેતાઓની ટિકિટ કપાવાની હોવાથી ચૂંટણી ન લડવાની વાત કરી રહ્યા છે. આ સાથે ગુજરાતમાં એ પણ ચર્ચા શરૂ થઈ છે કે શું નેતાઓને પહેલાથી જ હારનો ડર લાગ્યો છે?

કોંગ્રેસ-ભાજપના કેટલાક નેતાઓ ચૂંટણી લડવાની મૂડમાં નથી!

કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓ આ વર્ષે ચૂંટણી નહીં લડે અને તેઓ ઉમેદવારો માટે પ્રચાર કરશે. જેમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, તુશાર ચૌધરી, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી અને ભરતસિંહ સોલંકીનો સમાવેશ થાય છે. જોકે તેઓ કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરશે તેવી વાત કરી ચૂક્યા છે. તો સૂત્રોના અનુસાર સુખરામ રાઠવા અને સિદ્ધાર્થ પટેલ સહિત ગુજરાત કોંગ્રેસના મોટા નેતા લોકસભાની ચુંટણી ન લડે તેવી શક્યતા છે. તો ભાજપના પણ કેટલાક નેતાઓ લોકસભા લડવા નથી માંગતા. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ પોતાના વિસ્તારની બેઠકો પરના મુખ્ય ચહેરા મનાય છે. તો સુખરામ રાઠવાએ ઉંમરના કારણે ચૂંટણી ન લડવાનું મન મનાવ્યું છે. જોકે બારડોલી બેઠક પરના પ્રબળ દાવેદાર ગણાતા કોંગ્રેસના તુષાર ચૌધરી, અમરેલી બેઠક પરના પ્રબળ દાવેદાર ગણાતા પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા અને સિદ્ધાર્થ પટેલ દ્વારા ચૂંટણી ન લડવા અંગે સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

  • કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ શું કહ્યું?

આણંદ બેઠક પર ભાજપના મિતેષ પટેલ અને ભરતસિંહ વચ્ચે ટક્કર થઈ શકે છે તેવી ચર્ચા હતી. પરંતુ આ અટકળો પર પૂર્ણવિરામ લાગી ચૂક્યો છે. હાલમાં જ ભરતસિંહ સોલંકીએ X પર લખ્યું કે, મને અને મારા પરિવારને કોંગ્રેસ પાર્ટીએ દાયકાઓથી ઘણું આપ્યું છે. AICC જમ્મુ- કાશ્મીરના પ્રભારી તરીકેની મારી વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતમાં પક્ષ માટે અસરકારક રીતે પ્રચાર કરી શકવા માટે હું આ ચૂંટણી ન લડવાની મારી ઈચ્છા હાઈકમાન્ડને નમ્રતાપૂર્વક જણાવું છું. તેમ છતાં કોંગ્રેસના આજીવન સૈનિક રહીને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે હું સ્વીકારીશ અને તેનું પાલન કરીશ.'

  • કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે શું કહ્યું?

ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જગદીશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસની બાગડોર સોંપાઈ હતી. તેમણે પ્રદેશ પ્રમુખ તરીકે રાજ્યમાં ખુબ જોરશોરથી પ્રચાર પ્રસાર કર્યો હતો. જોકે ચૂંટણીમાં કારમી હાર મળી હતી. ત્યારબાદ તેમણે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા છે ત્યારે તેમને આગામી લોકસભા ચૂંટણીમાં હાઈકમાન્ડ ચૂંટણી ટિકિટ આપે તેવી ચર્ચા ચાલી રહી હતી. પરંતુ આ તમામ અટકળો પર પૂર્ણવિરામ લાગી ચૂક્યો છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, 'નવા ઉમેદવારોને તક મળે અને તેઓ આગળ આવે એ જરુરી છે. રાહુલ ગાંધી પણ આવુ ઇચ્છે છે કે, નવા ઉમેદવારોને તક મળે. આ માટે ચૂંટણી ઈન્ચાર્જથી લઈને ઉપલી નેતાગીરીની સાથે ચર્ચા કરી છે. આ માટે હાલમાં પોતાની નાદુરસ્ત તબિયત સહિતના કારણોને પણ રજૂ કર્યા છે. કોંગ્રેસને ક્રાઈસીસના સમયે છોડીને ગયેલાને કુદરત માફ નહીં કરે. કોંગ્રેસે તેમને ધારાસભ્ય, મંત્રી અને વિપક્ષી નેતા સહિતના હોદ્દાઓ આપીને મોટા કર્યા હતા.'

  • ભાજપ નેતા કુંવરજી બાવળિયાની સ્પષ્ટતા

રાજ્યના પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ લોકસભા ચૂંટણીમાં પોતાની ઉમેદવારી અંગે સ્પષ્ટતા જણાવ્યું હતું કે, 'કેટલાક મારા રાજકીય શત્રુ કે હિતેચ્છુ આવી ચર્ચા કરતા હશે. જોકે મેં હાઈકમાન્ડને વિનંતી કરી છે કે, મારે રાજ્યની જનતાની સેવા કરવી છે. ભૂતકાળમાં પાંચ વર્ષ હું લોકસભામાં જઈ આવ્યો છું. આથી હવે મારી લોકસભા ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા નથી.'

  • ભાજપ નેતા નીતિન પટેલે ઉમેદવાર પરત ખેંચી

પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા બેઠક પરથી પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. નીતિન પટેલે પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, 'મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મેં ઉમેદવારી નોધાવી હતી. શનિવારે રાજ્યની 15 લોકાસભા બેઠકના ઉમેદવારો જાહેર કરવામા આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલુ છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચુ છું. અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનીયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાથના કરુ છું.'

ભાજપ-કોંગ્રેસના કેટલા ઉમેદવારો જાહેર થયા?

ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેવાઈ છે. જેમાં ભાજપે પહેલી યાદીમાં 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં 15 ઉમેદવાર ગુજરાતના હતા. જેમાંથી 10 ઉમેદવારોને રિપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે પહેલી યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. પરંતુ તેમાં ગુજરાતમાંથી એકપણ ઉમેદવાર જાહેર કરાયા ન હતા. ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ દ્વારા બાકીના ઉમેદવારોની ગમે ત્યારે જાહેર થઈ શકે છે.

2022ની વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસના ચાર ધારાસભ્યના રાજીનામા  

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યા તેર તૂટે જેવી સ્થિતિ છે. ગુજરાત કોંગ્રેસમાંથી અત્યાર સુધી ચાર ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે. આ નેતાઓમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા અર્જુન મોઢવાડિયા, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી, વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડા અને ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ સામેલ છે. તો અમરેલીમાં આહિર સમાજના અગ્રણી અંબરીશ ડેરે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ સિવાયના નેતાઓની વાત કરીએ તો આપના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી અને વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલાએ પણ રાજીનામા આપી દીધા છે. મહત્ત્વનું છે કે, આ તમામ નેતાઓ રાજીનામા આપીને ભાજપમાં જોડાયા છે. જોકે, અરવિંદ લાડાણી આગામી તા. 14 માર્ચના વિધિવત્ રીતે ભાજપમાં પ્રવેશ કરવાના છે.


Google NewsGoogle News