KCCથી 5 લાખની લોન, ટ્રેક્ટર માટે 1 લાખની સહાય: ખેડૂતોને ગુજરાતના બજેટમાં શું મળ્યું?
Gujarat Budget 2025: ગુજરાતનું 2025-26નું બજેટ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. જેમાં અનેક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને પણ વિવિધ લાભ આપવામાં આવ્યા છે. જેમાં ખેડૂતો માટે વીજળીથી લઈને પાણી સુધીની સુવિધાઓને લઈને જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય કિસાન ક્રેડિટ કાર્ડની ધિરાણ મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
97% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી અપાશે
રાજ્યનું બજેટ રજૂ કરતાં સમયે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર, જગતના તાત એવા ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી આપવામાં ઝેરી જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો. આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુકત કરવા દિવસે વીજળી આપવા 'કિસાન સૂર્યોદય યોજના' અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજ્યના 16,683 એટલે કે 97% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. આ યોજનાને વધુ સુદૃઢ કરવા માટે આ બજેટમાં 2175 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
સરદાર સરોવર વિશે આપી માહિતી
સરદાર સરોવર બંધનું કામ પૂર્ણ થયા બાદ કેનાલ હેઠળના કામો પૂર્ણતાના આરે છે. સરદાર સરોવર યોજનાની 18 લાખ હેક્ટર સિંચાઈ ક્ષમતા સામે 17.22 લાખ હેક્ટર સિંચાઈ વિસ્તાર વિકસિત થયો છે. બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો પ્રગતિ હેઠળ છે.
કિસાન ક્રેડિટ કાર્ડની ધિરાણ મર્યાદામાં વધારો
ખેડૂતોને આપવામાં આવતી નાણાંકીય સહાય વિશે વાત કરતાં નાણાંમંત્રીએ જણાવ્યું કે, કેન્દ્રિય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારી 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. જેનો સંપૂર્ણ રીતે અમલ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત 4% વ્યાજ રાહત આપવા માટે 1252 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ લોન દર વર્ષે ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડુઓને મળતાં તેઓ પોતાની પ્રવૃત્તિ સમયસર કરી શકે છે. આ સિવાય રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાને પ્રાથમિકતા આપી છે. પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગ આપવા તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે 400 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે.
ટ્રેક્ટરની ખરીદી પર 1 લાખ રૂપિયાની સહાય
કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ-યાંત્રિકીકરણને મહત્ત્વ આપવા માટે રાજ્ય સરકારે બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરીને 1 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેતઓજારો, મીની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા માટે 1612 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
અન્ય જોગવાઈ
- ઊભા પાકને વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
- કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ.
- મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે ખેતીની જમીન પર મત્સ્ય ઉછેર કરવો હોય તેને બિન ખેતીની મંજૂરી લેવી નહીં પડે તેવી નીતિ બનાવવામાં આવશે.
આ પણ વાંચોઃ બજેટમાં મોટી જાહેરાત, ટૂંક સમયમાં પોલીસમાં 14000થી વધુ ભરતી કરાશે
મત્સ્ય ઉદ્યોગ માટેની જાહેરાત
ગુજરાતના બજેટ 2025-26માં મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારી સર્જન માટે આ બજેટમાં 1622 કરોડ રૂપિયાના પેકેજની જોગવાઈ કરવામાં આવી છે. જે થકી અંદાજે કુલ 27 હજાર યાંત્રિક-બિનયાંત્રિક બોટ અને 2 લાખ જેટલા માછીમારોને વિવિધ યોજનાઓના લાભ મળશે. જેમાં મુખ્યત્વે માછીમારી માટે માળખાકીય સુવિધાઓનો વિકાસ, સ્ટોરેજ, પ્રોસેસિંગ અને નિકાસ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
ગીર ગાયના સંવર્ધન માટે કરાઈ જાહેરાત
આ સિવાય "સહકારથી સમૃદ્ધિ” તરફ આગળ વધવા પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપી આર્થિક રીતે સક્ષમ બનાવવા જોગવાઈ કરવામાં આવી છે. જેનો લાભ 1 લાખથી વધુ ખેડૂત સભાસદોને મળશે. પશુપાલનથી દૂધ ઉત્પાદન દ્વારા લાખો ખેડૂત પરિવારોને પૂરક આવક થઈ રહી છે. ગીર ગાયના સંવર્ધન, સંરક્ષણ અને આનુવાંશિક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધરમપુર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે.