GPSCના ઉમેદવારોની સંમતિ પત્ર ભરવાની પ્રક્રિયા થઈ શરુ, અમદાવાદ-ગાંધીનગર ખાતે લેવાશે પરીક્ષા
GPSC Exam Consent Form: GPSC દ્વારા લેવામાં આવનારી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની આસિસ્ટન્ટ મેનેજરની કુલ 18 જગ્યાઓ માટેની પરીક્ષાને લઈ સંમતિ પત્ર ભરાવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આગામી 19 જાન્યુઆરીના રોજ તેની પ્રાથમિક પરીક્ષા યોજાશે. જે માટે સંમતિ પત્ર ભરવાની પ્રક્રિયા શરુ થઈ ચૂકી છે. ઉમેદવારો 20 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી આ સંમતિ પત્ર સત્તાવાર વેબસાઇટ પરથી ભરી શકાશે.
અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાશે પરીક્ષા
આ ભરતી માટેની પ્રાથમિક પરીક્ષાનું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં ઉમેદવારોએ પહેલાં સંમતિ પત્ર ભરવું ફરજિયાત છે. જેના વિના ઉમેદવાર પરીક્ષા નહીં આપી શકે. આ સંમતિ પત્ર ભરવાની સાથે બિન અનામાત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા અને અનામત વર્ગે 400 રૂપિયા ડિપોઝિટ ચૂકવવી પડશે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હશે તેમને બાદમાં ડિપોઝિટ પરત મળી જશે.
કેવી રીતે ભરવું સંમતિ પત્ર?
ઉમેદવારો સંમતિ પત્ર https://gpsc-ojas.gujarat.gov.in પરથી ભરી શકાશે. જે માટે ઉમેદવારે વેબસાઇટ પરના હોમ પેજ પર 'OTHER APPLICATION' MENUમાં જઈને CONSENT FORM પર click કરવાનું રહેશે. ત્યારબાદ પોતાનો CONFIRMATION NUMBER અને BIRTH DATE તેમજ CAPTCHA વિગત ભરીને OK પર ક્લિક કરી CONSENT DEPOSIT કરી સંમતિ પત્ર ભરી શકાશે.
કેવી રીતે ભરી શકાશે ડિપોઝિટ?
ઉમેદવાર સંમતિ પત્રની ડિપોઝિટ UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બૅન્કિંગ દ્વારા ભરી શકશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આ વર્ષે દુષ્કર્મની 648 ઘટના બની, ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે: વસાવા
કેવી રીતે મેળવવું રિફન્ડ?
ઉમેદવારોએ જે Payment Sourceમાંથી સંમતિ પત્રની ડિપોઝિટ ભરી છે તેમાંજ રિફન્ડ ચૂકવવામાં આવશે. જો આ સ્રોત બંધ, નિષ્ક્રિય અથવા ડોરમેન્ટ વગેરે હશે તો રિફન્ડ થઈ શકશે નહીં, જે માટે GPSC જવાબદાર નહીં રહે. જેથી ઉમેદવારોએ CONSENT DEPOSIT ચુકવણી માટે સક્રિય પેમેન્ટ મોડનો ઉપયોગ કરવો. પરીક્ષામાં હાજર ઉમેદવારને જ આ રકમ પરત કરવામાં આવશે. ગેરહાજર ઉમેદવારને આ રકમ પરત મળશે નહીં.
નોંધનીય છે કે, પરીક્ષામાં ઓનલાઇન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારોમાંથી ઘણાં પરીક્ષામાં હાજર રહેતા નથી. પ્રાથમિક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલા ઉમેદવારોની સંખ્યાને લઈને મોટા પાયે આયોજન અને વ્યવસ્થા કરવાની થાય છે. જેમાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડો, ઇન્વિજિલેટર, સુપરવાઇઝર, કેન્દ્ર નિયામક વગેરે મોટી સંખ્યામાં રોકાયેલા રહે છે. પરીક્ષામાં ગેરહાજર રહેતાં ઉમેદવારોની મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાનો બિનજરૂરી ખર્ચ પણ થાય છે. જેનો બોજો અંતે તો જાહેર જનતા ઉપર જ આવે છે. જેથી જે ઉમેદવારો પરીક્ષા આપવા ઇચ્છતા ન હોય તેવા ઉમેદવારોની અગાઉથી ઓળખ થઈ જાય અને તેમના માટેની પરીક્ષાની વ્યવસ્થા કરવાની ન થાય તો બાકીના ઉમેદવારો માટે પરીક્ષા વ્યવસ્થા વધારે સારી રીતે કરી શકાય તે હેતુસર સંમતિ પત્ર ફરજિયાત બનાવવમાં આવ્યું છે.