ગુજરાતનું બજેટ સત્ર શરૂ, ખેડૂતોને બાગાયતી પાકો માટે અદ્યતન ટેક્નોલોજી અપાશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું ખેડૂતો, મત્સ્યોધ્યોગ અને પેન્શનધારકોને લઈને વિધાનસભામાં સંબોધન

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
ગુજરાતનું બજેટ સત્ર શરૂ, ખેડૂતોને બાગાયતી પાકો માટે અદ્યતન ટેક્નોલોજી અપાશે 1 - image


Gujarat Budget Session: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થશે. બજેટ સત્રનો પ્રારંભ રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી શરૂ કરવામાં આવ્યું. રાજ્યપાલે સંબોધન જણાવ્યું હતું કે, 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજ સુધીમાં 15 હપ્તામાં કુલ રૂપિયા 15,407.82 કરોડની રકમ 64.13 લાખ લાભાર્થી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવી છે.'

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે,'ખેડૂતોને બાગાયતી પાકો માટે અદ્યતન ટેકનોલોજી પ્રદાન કરવાના હેતુથી રાજ્યમાં અમદાવાદ, જામનગર અને ખેડામાં તથા નર્મદા, પંચમહાલ અને અરવલ્લીમાં નવા સેન્ટર ઓફ એક્સલન્સ નિર્માણ પામી રહ્યા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ, ધાનેરા, ડીસા, દિયોદર અને કાંકરેજ તાલુકાઓના ગામોને બે નવી પાઈપલાઇન યોજનાઓની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી 15,000 હેક્ટર કરતાં વધુ વિસ્તારને સિંચાઈનો લાભ થશે.સરદાર સરોવર નર્મદા યોજનાની વડોદરા, મિયાગામ, સૌરાષ્ટ્ર અને કચ્છ શાખા નહેર ઉપર જુદી જુદી જગ્યાએ લઘુ વીજમથકોના બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ વીજ મથકોથી 85.46 મેગાવૉટ વીજ ઉત્પાદન કરવાનું આયોજન છે.'

રાજ્યપાલે જણાવ્યું હતું કે,'ગુજરાતમાં વર્ષ 2021-22માં સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 2283 યુનિટ હતો, જે વર્ષ 2022-23માં 2402.49 યુનિટ થયો છે. કોઈપણ રાજ્યના સામાજિક અને આર્થિક વિકાસ માટે વીજળી એક મુખ્ય જરૂરી માપદંડ છે, જે રાજ્યના વિકાસને પ્રતિબિંબિત કરે છે. ગુજરાત ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનમાં વૈશ્વિક લીડર તરીકે ઉભરી આવવા માટે સક્ષમ અને તૈયાર છે. તાજેતરમાં ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટે પાવર સપ્લાય કરવા રાજ્ય સરકારે આર.ઈ. પ્રોજેક્ટસના વિકાસ માટે જમીન નીતિ-2023 જાહેર કરી અને વિકાસકર્તાઓને ફાળવણી માટે બે લાખ હેક્ટર જેટલી જમીન નિર્ધારિત કરી છે. પરિણામે લગભગ 40 લાખ વાર્ષિક મેટ્રિક ટન ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન ક્ષમતા હાંસલ થશે. મત્સ્યોધ્યોગ પ્રવૃત્તિ ને વેગ આપવા માટે રૂપિયા 1300 કરોડના ખર્ચે વેરાવળ, માઢવાડ અને સુત્રાપાડામાં મત્સ્ય બંદરો વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.જે જિલ્લામાં પેન્શનરોની સંખ્યા વધુ છે એવા જિલ્લાઓમાં પેન્શનરોને હાલાકી ન પડે તે માટે પેન્શન ચૂકવવાના કચેરી અલગ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સુરત જિલ્લાઓમાં અલગ પેન્શન ચૂકવવાના કચેરી શરૂ કરવામાં આવી છે.'


Google NewsGoogle News