રખડતા ઢોર મામલે 13 એક્શન પ્લાન, હાઈકોર્ટમાં રાજ્ય સરકારે આપી ખાતરી, PASA હેઠળ ગુનો દાખલ કરવાની જોગવાઈ
તમામ મહાનગર અને નગર પાલિકાઓ દ્વારા ઢોર પકડવાની તજવીજ શરુ
13 point action plan to stray cattle : ગુજરાતમાં રખડતા ઢોરથી લોકો હેરાન પરેશાન થઈ ગયાં છે. રસ્તામાં વાહનચાલકો અને રાહદારીઓને રખડતાં ઢોરની અડફેટે આવતાં ઈજાગ્રસ્ત થવું પડે છે અથવા તો મોતની ઘટના સામે આવે છે. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરીને સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યાર એકાએક સરકાર દ્વારા ઢોર નિયંત્રણ પોલીસી અમલમાં આવી હતી. જેને લઇ તમામ મહાનગર અને નગર પાલિકાઓ દ્વારા ઢોર પકડવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે સરકારે હાઇકોર્ટ સમક્ષ એક્શન પ્લાન રજૂ કર્યો હતો.
રાજ્યમાં રખડતા ઢોરને લઈ સરકાર દ્વારા એક્શન પ્લાન તૈયાર કર્યો
(1) રખડતા ઢોરને પકડવાની કામગીરી રોજ ચાલુ રહેશે.
(2) તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં પ્રાણીઓના RFID ટેગ લગાવાશે
(3) તમામ નગરપાલિકા અને કોર્પોરેશન વિસ્તારમાં ઢોરવાડા તૈયાર કરવામાં આવશે.
(4) ઢોરવાડાઓની સફાઈ પ્રત્યે પૂરતી તકેદારી રાખવામાં આવશે
(5) ઢોરવાડામાં રહેલા પશુના સ્વાસ્થ્ય અંગે તમામ તકેદારી રખાશે
(6) સ્થાનિક કોર્પોરેશન કે નગર પાલિકા વિનામૂલ્યે આવા પશુનું નિર્વહણ કરશે
(7) નગર પાલિકાઓમાં રખડતા ઢોરના ત્રાસથી રક્ષણ માટે ચાલુ વર્ષે 10 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે
(8) વર્ષ 2023-24 માટે 30 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે
(9) મહાનગર પાલિકા દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયા
(10) પશુઓને રખડતા મુકનારની સામે ભારતીય દંડ સહિત અંતર્ગત કાર્યવાહી કરાશે
(11) ભારતીય દંડ સંહિતાની કલમ 332, 338, 188, 189 હેઠળ ગુનો નોંધાશે
(12) વારંવાર પશુને રખડતા મૂકનાર પશુ માલિક અને માથાભારે તત્વો સામે PASA હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે
(13)CNCD વિભાગને પૂરતું પોલીસ રક્ષણ આપવામાં આવશે
ચાર વર્ષ બાદ પણ વાસ્તવિકતામાં કોઈ ફર્ક નથી
અરજદારની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે તંત્રની કેટલીક કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો. કેટલીક બાબતેને લઈને કોર્ટે કહ્યું હતું કે, ખરાબ રસ્તા અને રખડતા ઢોરને લઈને કેટલીક બાબતે હજી સુધી અમલી બની નથી જેનો અમલ થવો જોઈએ. રાજ્ય સરકારે નવી કેટલ પોલિસી અંગે વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. (Amc) જેના પર હાઈકોર્ટે કહ્યું હતું કે, પોલિસી અને ગ્રાઉન્ડ પર રિયાલિટીમાં તફાવત છે. તંત્રએ કાગળ પર કાર્યવાહી કરી પણ વાસ્તવિક હકીકત જુદી જ છે. ચાર વર્ષ બાદ પણ વાસ્તવિકતામાં કોઈ ફેર પડ્યો નથી.