ગુજરાતના બજેટમાં પોતાનું ઘર લેવાનું સપનું જોતાં લોકો માટે ગુડ ન્યૂઝ, સબસિડીમાં 50 હજારનો વધારો
Gujarat Budget 2025: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરુઆત થઈ ચૂકી છે, જેમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ મહત્ત્વની જાહેરાત કરી રહ્યા છે. આ બજેટમાં પોતાનું ઘર લેવાનું સપનું જોતાં લોકો માટે સારા સમાચાર છે. રાજ્યના નાણામંત્રીએ સરકારી આવાસને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને રાજ્યના ગરીબો માટે 3 લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે.
નવા ઘર ખરીદવા પર સબસિડીમાં વધારો કરાયો
રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, 'આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની 1 લાખ 20 હજાર રૂપિયાની સહાયમાં મકાનદીઠ 50 હજાર રૂપિયાના માતબર વધારા સાથે 1 લાખ 70 હજાર રૂપિયા કરવામાં આવ્યા છે.
નાણામંત્રીએ રજૂ કર્યું બજેટ
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ 2025-26 રજૂ કર્યું છે. તેમણે ભાષણમાં રાજકોષીય ખાધ ઓછી રાખવા તેમજ સેમિ કંડક્ટર ક્ષેત્રે વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ભાર મૂક્યો છે.