ગણેશજીની શોભાયાત્રામાં નાચી રહેલા ભક્તો પર ફરી વળ્યો ટેમ્પો, સુરતના પલસાણામાં બની મોટી દુર્ઘટના
સુરતમાં ગણેશ મહોત્સવની ઉજવણી માતમમાં ફેરવાઈ
શોભાયાત્રા દરમિયાન બનેલા અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો
ગુજરાતમાં આજે ઘરે, શેરીઓ, ચોક, એપાર્ટમેન્ટ અને સોસાયટીઓમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી છે. ત્યારે આજે સુરતમાં ગણેશ મહોત્સવની ઉજવણી માતમમાં ફેરવાઈ છે. સુરતના પલસાણામાં ગણેશજીની પ્રતિમાને સ્થાપવા માટે પંડાલ સુધી પ્રતિમા લઈ જવા શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ દરમિયાન ટેમ્પો કેટલાક લોકો પર ફરી વળ્યો હતો. જેમાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે અન્ય કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચી છે. આ શોભાયાત્રા દરમિયાન બનેલા અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે.
પલસાણાના પાડા ફળિયાના રહીશો દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું હતું. તેઓ ગણેશજીની પ્રતિમા લઈને પરત ફરી રહ્યા હતા અને ગણેશજીની શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં ભક્તો ડીજેના તાલે નાચી રહ્યા હતા. જ્યારે આ શોભાયાત્રા પઠાણ પાર્ક નજીક પહોંચી ત્યારે આ દુર્ઘટના બની હતી. ટેમ્પોના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. આ બેકાબુ ટેમ્પો ભક્તો પર ફરી વળ્યો હતો.
ટેમ્પાએ સર્જેલા અકસ્માતમાં રંજનબેન ભાણાભાઈ રાઠોડ (ઉ.વર્ષ 50)ને ગંભીર ઇજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે યાત્રામાં સામેલ આરતીબેન ઉક્કડભાઈ રાઠોડ (ઉ.વર્ષ 19), પિંકુબેન કાળુભાઈ રાઠોડ(ઉ.વર્ષ 30), અંશ નવીનભાઈ હળપતિ(ઉ.વર્ષ 10) અને રાધિકા લાલુભાઈ રાઠોડ (ઉ.વર્ષ 11)ને ઈજા પહોંચી હતી. મળતી માહિતી અનુસાર, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.