Get The App

ગઢડા : આતંકી હુમલાના વિરોધમાં રોષપૂર્વક બંધ, મૃતકોને શ્રધ્ધાંજલી

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
ગઢડા : આતંકી હુમલાના વિરોધમાં રોષપૂર્વક બંધ, મૃતકોને શ્રધ્ધાંજલી 1 - image


- રાજુલામાં મુસ્લિમ સમાજે માનવતાના દુશ્મન આતંકીઓને કઠોરતમ સજા આપવા માંગ કરી

- ભાવનગરમાં પરશુરામ શોભાયાત્રા રદ્દ કરાઈ, તળાજામાં વાળંદ સમાજે પ્રાર્થના સભા યોજી, હનુમાન ચાલીસાના પાઠ કર્યા : બોટાદમાં આવેદન અપાયું : લેબર લો પ્રેક્ટીશનર્સ એસો.એ મૌન પાળી શ્રધ્ધાંજલી આપી

તળાજા/ગઢડા/બોટાદ/રાજુલા : મંગળવારે પહલગામમાં નિર્દોષ પર્યટકો ઉપર થયેલા આતંકવાદી હુમલાને લઈ સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે. આતંકી હુમલામાં અવસાન પામેલા હતભાગીઓને ભાવનગર, તળાજા, ગઢડા, રાજુલામાં શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.

આતંકી હુમલામાં ભાવનગરના વાળંદ સમાજના યતીશભાઈ અને તેમના પુત્ર સ્મિતભાઈનું અવસાન થયું છે. જેમની આત્માની શાંતિ માટે અને પરિવારજનોને દુઃખની ક્ષણો સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તે માટે તળાજામાં વાળંદ સમાજ દ્વારા જ્ઞાાતિની વાડી ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. જેમાં મૌન પાળી, હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. જ્યારે ભાવનગરમાં આગામી તા.૨૯-૪ને મંગળવારે યુવા પાલીવાલ બ્રહ્મસમાજ આયોજીત સમસ્ત બ્રહ્મસમાજ પ્રેરિત ભગવાન પરશુરામની શોભાયાત્રાનો કાર્યક્રમ રદ્દ કરી દેવાયો છે. તેમજ ભોજન સમારંભ પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ભાવનગર લેબર લો પ્રેક્ટીશનર્સ એસોસિયેશના હોદ્દેદારો અને સભ્યોએ બાર રૂમમાં બે મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રધ્ધાંજલી આપી હતી.

ગઢડામાં વિએચપી અને વેપારી એસોસિયેશન દ્વારા આજે બોટાદ ઝાંપા ખાતે પહલગાવમાં આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નાગરિકોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. જેમાં વેપારીઓએ સવારે ૧૦-૩૦ કલાક સુધી સ્વયંભૂ દુકાનો બંધ રાખી આતંકીઓના જધન્ય કૃત્ય સામે રોષ ઠાલવ્યો હતો. આ કાર્યક્રમમાં નાગરિકો, વેપારીઓ, સાધુ-સંતો, રાજકીય-સામાજિક આગેવાનો અને વિવિધ સંસ્થાઓમાંથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના દરબારગઢમાં સંતો, નગરપાલિકા પરિવાર, આરએસએસ, ધર્મ જાગરણ સમન્વય અધિકારીઓ સહિતની સંસ્થાઓ, હરીભક્તો, સાંખ્યયોગી બહેનોએ ધૂન સંકીતર્ન અને બે મિનિટનું મૌન પાળી આતંકી હુમલાના નિર્દોષ હૂતાત્માઓને શ્રધ્ધાંજલી આપી હતી.

બોટાદમાં આતંરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આતંકવાદીઓ સામે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે અને આતંકવાદનો સફાયો કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

રાજુલામાં મુસ્જિલ સમાજ દ્વારા આતંકી ઘટનાને વખોડી કાઢી માનવતાના દુશ્મન આતંકીઓને કઠોરતમ સજા આપવાની માંગ કરાઈ છે. શહેરના તબક્કલનગરની મસ્જિદમાં જુમ્માની નમાજ બાદ મૌન પાળી હતભાગીઓને શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી. વધુમાં વિશ્વ હિન્દુ પરિષદ, માર્કેટીંગ યાર્ડના ખેડૂતો, કાન્હા વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા પણ શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.

Tags :