સુરત પાલિકાની એક શાળામાં નવતર પ્રયોગ: ફાસ્ટફુડ તરફ જતા બાળકો માટે સપ્તાહમાં એક દિવસ ફ્રુટ ડેની ઉજવણી શરુ કરી

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
સુરત પાલિકાની એક શાળામાં નવતર પ્રયોગ: ફાસ્ટફુડ તરફ જતા બાળકો માટે સપ્તાહમાં એક દિવસ ફ્રુટ ડેની ઉજવણી શરુ કરી 1 - image


હાલના સમયમાં બાળકો ફાસ્ટફુડ તરફ વળી રહ્યા છે ત્યારે બાળકોને આરોગ્યપ્રદ ખોરાક તરફ વાળવા માટે સમિતિની એક શાળા દ્વારા નવતર પ્રયોગ કરવામા આવ્યો છે. સુરતના પાલનપોર વિસ્તારની શિક્ષણ સમિતિની શાળામાં દર બુધવારે ફ્રુટ ડેની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં દર બુધવારે બાળકો સાથે શિક્ષકો પણ ડબ્બામાં એક ફળ લઈને આવશે બાળકો શાકભાજી- ફળ અને આરોગ્યપ્રદ ભોજન અંગેની માહિતી આપશે.

સુરત પાલિકાની એક શાળામાં નવતર પ્રયોગ: ફાસ્ટફુડ તરફ જતા બાળકો માટે સપ્તાહમાં એક દિવસ ફ્રુટ ડેની ઉજવણી શરુ કરી 2 - image

સુરત પાલિાકના રાંદેર ઝોનમાં આવેલી પાલનપુરની 318 ક્રમાંકની કવિશ્રી ઉશનસ્ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હેલ્ધી ફૂડ માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. શાળાના આચાર્ય વિજય ઝાંઝરૂકિયા કહે છે, આજના જમાનામાં બાળકો ફાસ્ટફૂડ તરફ વળી ગયા છે. ત્યારે તેમના પોષણની સતત ચિંતા રહે છે આ ચિંતા દૂર કરવા અને બાળકો આરોગ્યપ્રદ હેલ્થી ભોજન આરોગે તે જરૂરી છે. અમારી શાળા દ્વારા પોતાની નૈતિક જવાબદારી ના ભાગરૂપે આ સત્રથી દર બુધવારે ફ્રુટ ડે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 

આ માટે શાળામાં જાહેરાત કરવામા આવી છે કે દર બુધવારે બાળકો ઘરેથી એક ડબ્બામાં કોઈપણ એક ફ્રુટ લઈને આવશે અને શિક્ષકો પણ પોતાના ઘરેથી એક ફ્રૂટ લઈ આવશે અને શાળામાં જ બીજા પિરિયડ દરમિયાન દરેક શિક્ષક પોતાના વર્ગના બાળકો સાથે બેસી ફ્રુટ ખાશે, જેથી પરસ્પર લાગણી અને સન્માન ઉદ્ભવે અને સાથે સાથે બાળકો પૌષ્ટિક નાસ્તો તરફ વળશે. 

સુરત પાલિકાની એક શાળામાં નવતર પ્રયોગ: ફાસ્ટફુડ તરફ જતા બાળકો માટે સપ્તાહમાં એક દિવસ ફ્રુટ ડેની ઉજવણી શરુ કરી 3 - image

આ શાળામાં બુધવારે આ ફ્રુટ ડે ફરજિયાત ઉજવવામાં આવશે અને સાથે સાથે તમામ શિક્ષકો દ્વારા શરીરના તંદુરસ્ત વિકાસ માટે આરોગ્યપ્રદ ભોજન ફ્રુટ,સલાડ અને શાકભાજી વગેરેનું જીવનમાં શું મહત્ત્વ છે, તે વિશે વિસ્તૃત માહિતી આપશે. થોડા દિવસ પહેલા રાત્રિ મિટિંગમાં સેશન દરમિયાન આ બાબતે વાલીઓ સમક્ષ વિચાર રજૂ કર્યો હતો અને આજે શાળાના 650 કરતા વધારે બાળકો દ્વારા તેમના વાલીઓના સહકારથી ફ્રૂટ ડે ની શરૂઆત કરવામાં આવી છે. 

આજના ફાસ્ટ ફૂડના જમાનામાં જ્યારે બાળકો ફાસ્ટફૂડ તરફ આંધળી દોટ મૂકી રહ્યા છે, ત્યારે બાળકોને સકારાત્મક રીતે પોષણયુક્ત આહાર તરફ વાળવા માટે શાળા દ્વારા આ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે તેના કારણે વિદ્યાર્થીઓનું આરોગ્ય પણ સુધરે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News