પૂર્વ TPO સાગઠિયા અને ATP મકવાણાને આખરે સસ્પેન્ડ કરાયા

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
પૂર્વ TPO  સાગઠિયા અને ATP મકવાણાને આખરે સસ્પેન્ડ કરાયા 1 - image


રાજકોટના અગ્નિકાંડમાં પકડાયેલા : મ્યુ. કમિશનરની કાર્યવાહી, બીજા ATP જોશીને અગાઉ જ સસ્પેન્ડ કરી દેવાયા હતા

રાજકોટ, : રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં ધરપકડ કરાયેલા અને હાલ રિમાન્ડ પરના મનપાના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ ધનજીભાઈ સાગઠીયા (ઉ.વ. 55) અને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ રામજીભાઈ મકવાણા (ઉ.વ.૪૩)ને  મ્યુનિસીપલ કમિશનરે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. 

આ બે અધિકારીઓ ઉપરાંત બીજા એટીપી ગૌતમ દેવશંકરભાઈ જોશી (ઉ.વ. 46) પણ હાલ તપાસ કરતી સિટ પાસે રિમાન્ડ પર છે. જોશીને આ અગાઉ સસ્પેન્ડ કરી દેવાયા હતા.

રાજકોટના અગ્નિકાંડ બાદ તાત્કાલિક અસરથી એટીપી ગૌતમ જોશી, ટીપી શાખાના આસિસ્ટન્ટ એન્જીનીયર જયદિપ ચૌધરી, માર્ગ મકાન વિભાગના 2 અધિકારી, ફાયર બ્રિગેડના 1 અધિકારી અને 2 PI મળી કુલ 7 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ 7 અધિકારીઓમાંથી એટીપી ગૌતમ જોશી અને ફાયર બ્રિગેડના રોહિત વીગોરાની સિટની ટીમે ધરપકડ કરી હતી.

સાગઠીયાના સસ્પેન્શનના હુકમમાં જણાવાયું છે કે તેની ફરજ દરમિયાનની કામગીરી નબળી હોવાનું અને પોતાના  હોદ્દાની મૂળભુત ફરજ પ્રત્યે બેદરકારી દાખવ્યાનું ફલિત થાય છે. તેને મનપાની કામગીરી અન્વયે સોંપવામાં આવેલ ફરજ પ્રત્યેની ગેરજવાબદારી, બેદરકારી, શિથિલતા અને નિષ્કાળજી ઉપરાંત મનપાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા કૃત્યો અને ફોજદારી કેસ સબબ ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1971ના પ્રકરણ-5 ની જોગવાઈ મુજબ ધરપકડ કરાયાના 48 કલાકથી વધારે સમય થયો હોવાથી ધ જીપીએમસી એકટ 1949ની કલમો હેઠળ તા. 3- મેની અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. આજ વિગતો મકવાણાના સસ્પેન્શનનાં હુકમમાં પણ જણાવાઈ છે. 


Google NewsGoogle News