જીતુ વાઘાણીએ અડધા બ્રિજનું કર્યું ઉદ્ઘાટન, ચાર વર્ષે શરુ થયો 'વન-વે' ફ્લાયઓવર
First Flyover Inaugurated In Bhavnagar : ભાવનગર શહેરમાં તૈયાર કરવામાં આવી રહેલા પહેલા ફ્લાયઓવરનું 2019માં ખાતમુહૂર્ત કરાયું હતું. જ્યારે ચાર વર્ષ બાદ આજે સોમવારે આ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ફ્લાયઓવરનું નિર્માણ રૂ.115 કરોડ રૂપિયાના ખર્ચે થઈ રહ્યું છે, ત્યારે આટલા વર્ષો બાદ ફ્લાયઓવરનું 'વન-વે' એટલે કે અડધા બ્રિજનું ઉદ્ધાટન કરાયું છે, જેમાં દેસાઈનગરથી RTO સુધીનો ફ્લાયઓવર શરુ કરવામાં આવ્યો છે. ફ્લાયઓવરના ઉદ્ધાટન દરમિયાન ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના આગેવાનોએ હેલ્મેટ ન પહેરીને ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હતો.
અડધા ફ્લાયઓવરનું લોકાર્પણ
વિજય રૂપાણીની સરકાર વખતે ભાવનગરના પહેલા ફ્લાયઓવરને તૈયાર કરવા માટે રૂ.115 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જ્યારે આજે સોમવારે ભાવનગરના પ્રથમ ફ્લાયઓવરની 'વન-વે'નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અડધા ફ્લાયઓવરના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય જીતુ વાઘાણી, ધારાસભ્ય સેજલ બહેન પંડ્યા, ભાવનગર મેયર સહિત ભાજપના આગેવાનોએ આ ફ્લાયઓવર પર બાઈક ચલાવીને ઓપનિંગ કર્યું હતું. આ દરમિયાન તેમણે હેલ્મેટ ન પહેરીને ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હતો.
જીતુ વાઘાણીએ શું કહ્યું?
જીતુ વાઘાણીએ કહ્યું કે, 'લોકાર્પણ બાદ હવે દેસાઈનગરથી RTO સુધી લોકો ફ્લાયઓવરનો ઉપયોગ કરી શકશે. જેમાં એક બાજુની સાઇડ ખોલવામાં આવી છે. અમુક ટૅકનિકલ બાબતોના કારણે ફ્લાયઓવરના નિર્માણ કાર્યમાં થોડું મોડું થયું છે, પરંતુ કારણો શોધીને 1 મે પહેલાં ફ્લાયઓવરની બંને સાઇડ ખુલ્લી મુકાશે. જેથી લોકોને ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે.'
આ પણ વાંચો: વટવા GIDCમાં આવેલી ફેક્ટરીમાં આગ: ફાયર વિભાગની 18 ગાડી-35 જવાનોએ આગ પર મેળવ્યો કાબુ
શહેરીજનોનું કહેવું છે કે, ફ્લાયઓવરના નિર્માણના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ પેચીદી બની ગઈ છે. એટલે વહેલીતકે બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવી તેવી માગ કરી હતી.