સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા બેફામ, ગેરકાયદે ખનન સામે અરજી કરનારના ઘરે જ ફાયરિંગ
Firing in Surendranagar: સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓની દાદાગીરી વધી ગઇ છે. ત્યારે સાયલાના સુદામડા ગામમાં ફાયરિંગની ઘટના બની હતી. સુદામડા પંથકમાં ચાલી રહેલા ગેરકાયદે ખનન મામલે શખસે ફરિયાદ દાખલ કરી હતી, આ મામલે અંગત અદાવત રાખીને ફાયરિંગ કર્યાનું ફરિયાદીએ આરોપ લગાવ્યો છે.
મળતી માહિતી અનુસાર, સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા અરજદાર શોકત યાદવ અને તેની પુત્રી દ્વારા કલેકટર અને પોલીસને અરજી કરવામાં આવી હતી. પરંતુ અરજી કર્યા બાદ આ ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર આ પરિવારને અરજી પરત ખેંચવા ધાક ધમકી આપતા હતા. ત્યારે 14મી સપ્ટેમ્બર રાત્રે ત્રણથી ચાર ગાડીઓમાં 15થી વધુ વ્યક્તિઓ દ્વારા અરજદારના ઘર પર 8થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગણેશ વિસર્જન કરવા જતા લોકો પર પથ્થરમારો, હવે યુપીના મહોબામાં બે જૂથ વચ્ચે ઉગ્ર બબાલ!
પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
આ ઘટનાની જાણ થતા જ સુરેન્દ્રનગર એસ.પી, લીંબડી ડીવાયએસપી, પીએસઆઇ એલસીબી એસ ઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસને ઘટનાસ્થળ પરથી ખાલી કારતુસ મળ્યા હતા, તેને જપ્ત કરીને તપાસ અર્થે મોકલ્યા હતા. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.