કપાસ વેચાણ માટેના સીસીઆઈ કેન્દ્રો બંધ કરતા ખેડૂતોની હાલત કફોડી
- વઢવાણ, ચુડા, લખતર, અને લીંબડીમાં
- કપાસ ખરીદ કેન્દ્ર બંધ રહેતા ખેડૂતો વેપારીઓને નીચા ભાવે માલ વેચવા મજબૂર
સુરેન્દ્રનગર : ગુજરાતમાં કપાસના ઉત્પાદનમાં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રથમ સ્થાન આવે છે પરંતુ જિલ્લામાં કપાસના વેચાણ માટે હાલ એક પણ સીસીઆઈ કેન્દ્ર શરૂ ન હોવાથી ઝાલાવાડના ખેડૂતોને કપાસના વેચાણ માટે હાલાકી પડી રહી છે જે અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે જીલ્લામાં કાર્યરત સીસીઆઈ કેન્દ્રો ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લો કપાસના ઉત્પાદનમાં મોખરે છે. ખેડૂતો તનતોડ મહેનત કરી કપાસનું મબલખ ઉત્પાદન કરે છે જેનો દેશ વિદેશ સુધી નિકાસ થાય છેે. અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસના વેચાણ માટે ચાર કેન્દ્રો લખતર, લીંબડી, ચુડા અને વઢવાણ તાલુકામાં કાર્યરત હતા. ખેડૂતો સહેલાઈથી કપાસનું વેચાણ કરતા હતા પરંતુ સ્થાનીક આગેવાનો, વેપારીઓ અને સીસીઆઈ કેન્દ્રોના અધિકારીઓની મીલીભગતના કારણે છેલ્લા ઘણા વર્ષોથી જિલ્લામાં ચાલી રહેલા સીસીઆઈ કેન્દ્રો બંધ કરી દેવામાં આવતા ઝાલાવાડના ખેડૂતોને હાલ ન છુટકે વેપારીઓને જ કપાસ વેચવાનો વારો આવ્યો છે. સીસીઆઈ કેન્દ્રોમાં કપાસનું વેચાણ સરળતાથી થતું હતું અને ખેડૂતોને સારા અને ઉંચા ભાવ પણ મળતા હતા. પરંતુ ખેડૂતોના કપાસને સસ્તા ભાવે ખરીદી શકાય તે માટે સીસીઆઈ કેન્દ્રો બંધ કરી દેતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આ મામલે સ્થાનિક ખેડૂત અગ્રણી મનુભાઈ પટેલના જણાવ્યા મુજબ સામાન્ય રીતે દરેક તાલુકામાં સીસીઆઈના બે કેન્દ્ર ખોલવાના હોય છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ૧૦ તાલુકામાં માત્ર ચાર જ સીસીઆઈના કેન્દ્રો કાર્યરત હતા જે પણ છેલ્લા ઘણા સમયથી બંધ હોય ખેડૂતોને કપાસના વેચાણ માટે મુશ્કેલી પડી રહી છે ત્યારે તાત્કાલીક સરકાર દ્વારા કપાસના બંધ કરેલ ચાર સીસીઆઈ કેન્દ્ર સાથે સાથે અન્ય તાલુકામાં પણ વધારાના નવા સીસીઆઈ કેન્દ્ર ખોલવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.