Get The App

મહિલા વિશે ટિપ્પણી બદલ ઠપકો આપનાર વાડી માલિકની ભાગિયાએ નિપજાવી હત્યા

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
મહિલા વિશે ટિપ્પણી બદલ ઠપકો આપનાર વાડી માલિકની ભાગિયાએ નિપજાવી હત્યા 1 - image


કેશોદના ચર ગામે બનેલા બનાવથી ચકચાર

રાતે મૃતકની પુત્રવધૂને રૃમમાં પૂરી દઈ ભાગિયાએ વાડીમાલિકને તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા મારી દીધા

જૂનાગઢ :  ખેતરનું ભાગિયું રાખતા શખ્સે પાડોશી મહિલાનાં ચારિત્ર વિશે ગંભીર ટિપ્પણી કરી હતી, જે અંગે પાડોશીએ ખેતર માલિકને તેમના ભાગિયાને સમજાવી દેવા અને ફરીવાર આવી વાતો ન કરવાનું કહ્યું હતું. વાડી માલિકે તેમના ભાઈના ભાગિયાને મહિલાઓની ખોટી વાતો ન કરવા ધમકાવી ઠપકો આપ્યો હતો. ઠપકો આપ્યાનું મનમાં રાખી બીજે દિવસે વાડી માલિકના ભાઈને તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખી હતી. આ અંગે મૃતકના પુત્રએ કેશોદ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

કેશોદ તાલુકાના ચર ગામની સીમમાં રહી ખેતીકામ કરતા ખીમજીભાઈ માલદેભાઈ બોરખતરીયાને ૧૦ વિઘા જમીન છે. તેની બાજુમાં તેના ભાઈ મેણશીભાઈની ૧૦ વિઘા જમીન છે. મેણશીભાઈની જમીનમાં મુળ માંગરોળ તાલુકાના કારેજ ગામના લીલા ભીખા ડાભી નામનો શખ્સ ત્રણ વર્ષથી ભાગ્યુ રાખે છે. મેણશીભાઈ તથા ખીમજીભાઈની જમીનની બાજુમાં હરેશભાઈ ભાયાભાઈ વરૃની જમીન આવેલી છે. ભાગ્યુ રાખતો લીલા ભીખા નામનો શખ્સ કામ ન હોય ત્યારે હરેશભાઈ અને ખીમજીભાઈની જમીનમાં મજુરી અર્થે જતો હતો. લીલાભાઈએ હરેશભાઈ વરૃને કહ્યું હતું કે, તમારી ઘરવાળી ખરાબ નજરની છે અને તેને બીજા સાથે સંબંધ છે. આથી, હરેશભાઈએ સમગ્ર મામલે ખીમજીભાઈને વાત કરી કહેલ કે, તમારા ભાઈના ભાગ્યાને સમજાવી દેજો કે કોઈના બૈરાવ વિશે આવી ખરાબ વાતો ન કરે. આ વાતના કારણે ખીમજીભાઈએ ગત તા.૧૧ના સાંજના સમયે આરોપી લીલા ભીખાને ધમકાવેલ અને આવી ખોટી વાતો ન કરવા ઠપકો આપ્યો હતો. જેથી લીલો ખીમજીભાઈ સાથે ઝઘડો કરી હવે મારે તમારા કોઈનું ભાગ્યુ રાખવું નથી અને હવે જોઈ લઈશ તેમ કહી ચાલ્યો ગયો હતો.

ત્યારબાદ ગત તા.૧રના ખીમજીભાઈનો પુત્ર કૌશિક અને તેમના માતા હોસ્પિટલના કામ સબબ જૂનાગઢ આવ્યા ત્યારે રાત્રીના કૌશિકભાઈને તેમની પત્નીનો ફોન આવ્યો કે, બાપુજીને કોઈક મારી રહ્યું છે, મારા રૃમનો દરવાજો બહારથી બંધ કરી દીધો છે, જેથી તમે તાત્કાલિક કોઈને ખેતર પર મોકલો. બાદમાં કૌશિકભાઈએ તેમની નજીકમાં ખેતર ધરાવતા હરેશભાઈને ફોન કરી સ્થળ પર મોકલ્યા ત્યારે ખીમજીભાઈને ખુબ લોહી નીકળતું હોવાથી તેણે કૌશિકભાઈને પાછો ફોન કરી કહ્યું કે, તમે તુરંત ઘરે આવી જાવ બાદમાં કૌશિકભાઈ ઘરે આવ્યા ત્યારે તેમના પિતા ખીમજીભાઈ ઓસરીમાં રાખેલી સેટી પર પડયા હતા અને ચારેય બાજુથી લોહી નીકળતું હતું. માથામાં તેમજ હાથમાં તથા જમણી બાજુ પડખાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારેલા હતા. આ સમગ્ર મામલે મૃતક ખીમજીભાઈના પુત્ર કૌશિકભાઈએ લીલા ભીખા ડાભી સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મારા પિતાએ  આરોપીને ઠપકો આપ્યો હોવાથી તેમનું વેર વાળવા ઘાતક હુમલો કરી ખીમજીભાઈનું ઢીમ ઢાળી દીધુ હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News