દાહોદમાં નકલી N.A. પ્રકરણમાં ૯૦૦૦ પાનાની ચાર્જશીટ રજૂ કરી
હાલ માસ્ટર માઈન્ડ સહિત ૨૪ લોકો જેલમાં : ૩ શંકાસ્પદ સર્વે નંબરનો સરકારમાં અલગથી રિપોર્ટ કરાશે
દાહોદ,દાહોદના નકલી એન.એ. કેસમાં દાહોદ પોલીસે છેલ્લા દિવસે ૨૪ આરોપીઓ સામે ૨૬૦૦ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. આ પહેલા પણ પોલીસે અગાઉ આરોપીઓ સામે ૬૩૭૦ પાનાની ચાર્જશીટ મૂકી હતી. એન.એ. પ્રકરણમાં નોંધાયેલી અત્યાર સુધીની તમામ ફરિયાદોમાં ૯૦૦૦ પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.
આ પ્રકરણ પ્રકાશમાં આવ્યા બાદ નવ મહિનાની તપાસ બાદ પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાઓમાં હવે ચાર્જશીટ ફ્રેમ થઈ ગઈ છે. બે જમીન દલાલોને મેડિકલ ગ્રાઉન્ડ પર જામીનમુક્ત કર્યા છે. તે સિવાયના પકડાયેલા તમામ જમીન દલાલો, મિલકત ધારકો, વચેટિયા, સરકારી બાબુ તેમજ માસ્ટરમાઈન્ડ સહિત ૨૪ લોકો જેલવાસ ભોગવી રહ્યા છે.
દાહોદના બહુચર્ચિત નકલી એન.એ. કેસમાં બિન ખેતીના બોગસ હુકમો બનાવી સરકારના પ્રીમિયમ ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ૨૧૫ બોગસ સર્વે નંબરો સામે આવ્યા હતા. પોલીસે ૯ જેટલી જુદી જુદી ફરિયાદોમાં ૯૪ લોકો સામે નામજોગ ગુનો દાખલ કર્યો હતો. જેમાં માસ્ટર માઈન્ડ સહિત ૨૪ ઈસમોની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા.
દરમિયાન પ્રીમિયમ ચોરીના કેસમાં નીતિ કરવા સરકારમાં હકીકતલક્ષી અહેવાલ મોકલવા માટે રેવન્યૂ વિભાગની ટીમોએ રીસર્વેની કામગીરી હાથ ધરી હતી. શંકાસ્પદ સર્વે નંબરોમાં સ્થળ પરનો અહેવાલ સરકારમાં જમા કરાવ્યો હતો. જો કે સિટની તપાસમાં ૧૧ સર્વે નંબરોમાં સાચા હુકમો મળી આવતા આ સર્વે નંબરોમાં દસ્તાવેજો ઉપરનો પ્રતિબંધ ઉઠાવી દેવામાં આવ્યો છે. હવે પોલીસ આ ત્રણ સર્વે નંબરોમાં અલગ તપાસ કરી સરકારમાં રિપોર્ટ કરસે. સરકારમાંથી નક્કી થયા બાદ આ સર્વે નંબરો અંગે નિર્ણય લેવાશે.