છ'ગાઉ યાત્રા અંતર્ગત પાલિતાણાથી સુરત-અમદાવાદની એકસ્ટ્રા બસ દોડશે
- જૈન સમાજે કરેલી રજૂઆતને સફળતા મળી
- પાલિતાણાથી આદપર વચ્ચે 50 બસ દોડાવવાનો પણ એસટી તંત્રનો નિર્ણય
ભાવનગર એસટી ડિવિઝનના આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ય વિગત અનુસાર ફાગણ સુદ તેરસના રોજ પાલિતાણામાં છ ગાઉ યાત્રા યોજાશે. પ્રતિ વર્ષ યોજાતી આ યાત્રામાં વિશાળ સંખ્યામાં યાત્રીઓ ઉમટતા હોય છે. જેને અનુલક્ષીને ભાવનગર એસટી વિભાગ દ્વારા તા. ૧૨ના રોજ સાંજે ૫.૩૦ વાગ્યે પાલિતાણા-સુરત એકસ્ટ્રા બસ તેમજ તા.૧૨ના રોજ સાંજે ૫ વાગ્યે પાલિતાણા-અમદાવાદ એકસ્ટ્રા બસ સંચાલિત થશે. આ ઉપરાંત, તે દિવસે પાલિતાણા-આદપર વચ્ચે ૫૦ વાહનોથી એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવશે. તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જૈન સમાજના યુવા અગ્રણીઓના પ્રતિનિધિ મંડળે જીએસઆરટીસીના ગુજરાત ટ્રાફિક ઈન્ચાર્જની રૂબરૂ મુલાકાત લીધી હતી. જે સંદર્ભે જૈન સમાજના યુવા અગ્રણી હેતલભાઈ શાહે જણાવ્યું હતું કે, પાલિતાણામાં ફાગણ સુદ ૧૩ના રોજ યોજાનાર છ ગાવ યાત્રા માટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના સ્થળોએથી આવતા યાત્રીઓને આવન-જાવનની સુવિધા મળી રહે તે માટે એસટી દ્વારા નિયમિત રૂટમાં ચાલતી બસો ઉપરાંત જરૂર પડે વિશેષ બસ સુવિધા આપવા રજૂઆતમાં માંગ કરી હતી. જેના અનુસંધાને એસટી વિભાગે ફિક્સ ભાડા સાથે ૫૧ સીટની બસો ફાળવવામાં આવશે તેવી બાહેંધરી આપી હતી અને જે-તે જગ્યાએથી ઓનલાઈન બૂકિંગ થાય તેવી રીતે તા.૧૦ અને ૧૧ના રોજ સ્પેશિયલ કેટેગરીમાં બસ દોડાવવા માટે તેમણે આશ્વાસન આપેલ છે.